પુરીના જગન્નાથમાં 46 વર્ષ બાદ મંદિરમાં રતન ભંડારના કપાટ ખૂલ્યા

July 14, 2024

પુરી ƒ ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના રતન ભંડારના કપાટ ખોલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 46 વર્ષના લાંબા સમય બાદ આ રતન ભંડારના કપાટ ખોલ્યા છે.  આ માટે રાજ્ય સરકારે આજે (14 જુલાઈ) બપોરે 1:28 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો.આજે જેવો જ શુભ સમય આવ્યો કે તરત જ આ રતન ભંડારના કપાટ ખોલી નાખવામાં આવ્યા હતા. આ પહેલા કપાટ વર્ષ 1978માં ખોલવામાં આવ્યા હતા. ચાર ધામોમાંથી એક જગન્નાથ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં રતનોનો ભંડાર છે. જેમાં ત્રણ દેવતા જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રતનો રાખવામાં આવ્યા છે. ઘણા રાજાઓ અને ભક્તોએ ભગવાનને ઘરેણાં અર્પણ કર્યા હતા. તે બધા રતન ભંડારમાં રાખવામાં આવ્યા છે. આભૂષણોની કિંમત અમૂલ્ય હોવાનું કહેવાય છે. આજદિન સુધી તેનું મૂલ્યાંકન થયું નથી. આ ઐતિહાસિક ભંડાર જગન્નાથ મંદિરના જગમોહનના ઉત્તર કિનારે છે.


મંદિર પ્રબંધન સમિતિના વડા અરવિંદ પાધીએ જણાવ્યું હતું કે 'અગાઉ રતન ભંડારના કપાટ વર્ષ 1905, 1926 અને 1978માં ખોલીને કિંમતી વસ્તુઓની યાદી બનાવવામાં આવી હતી. રતના ભંડારના કપાટ છેલ્લે 1985ની 14મી જુલાઈએ જ ખોલવામાં આવ્યા હતા. આ પછી રતન ભંડારના કપાટ ક્યારેય પણ ખોલવામાં આવ્યા ન હતા. પુરીના જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકર સ્વૈને કહ્યું, 'રતન ભંડાર આજે ફરી ખોલતા પહેલા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. અમે શ્રી જગન્નાથ મંદિર અધિનિયમ મુજબ સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ચુસ્તપણે પાલન કર્યું છે.' રતન ભંડારની અંદર પાલક સાપ હોવાની અફવા પર દાસ મહાપાત્રાએ સ્પષ્ટતા કરી કે આવી કોઈ સમસ્યા નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પ્રતિનિધિની હાજરીમાં આભૂષણોની યાદી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આભૂષણોની ગણતરી કર્યા પછી એક ડિજિટલ કૅટલૉગ બનાવવામાં આવશે. જેમાં ફોટોગ્રાફ્સ, આભૂષણોનું વજન અને અન્ય વસ્તુઓની સાથે તેમની ગુણવત્તાનો સમાવેશ થશે.