RSS-ભાજપ વચ્ચે મતભેદો તીવ્ર થયા! ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવા સંઘને મોદીની સલાહ

July 23, 2024

ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચેની સમન્વય બેઠક છેલ્લી ઘડીએ રદ કરાતાં ભાજપ અને સંઘ વચ્ચેના મતભેદો તીવ્ર બન્યા હોવાનાં એંધાણ છે. સૂત્રોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદીએ સંઘને ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવાનું કહી દેતાં સંઘના સહસરકાર્યવાહ અરૂણ કુમાર સાથેની ઉત્તર પ્રદેશના ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક સ્થગિત રખાઈ છે. સંઘની મધ્યસ્થીથી ભાજપનો ઝગડો શાંત પડે તેના કારણે ભાજપ સંઘના ઈશારે ચાલે છે અને ભાજપના નેતા સંઘની કઠપૂતળી છે એવી છાપ ના પડે એટલે મોદીએ સંઘને દૂર રહેવા કહી દીધું હોવાનું કહેવાય છે.
સૂત્રોના મતે, સંઘ અત્યારે નરેન્દ્ર મોદી અને તેમની નજીકના નેતાઓના બદલે યોગી આદિત્યનાથની તરફેણમાં ઢળેલો હોવાથી આ બેઠકના કારણે યોગી વધારે મજબૂત બનશે એવો ડર લાગતાં બેઠક જ રદ કરી દેવાઈ છે. યુપીમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહુ વધી જતાં સંઘે દખલગીર કરવી પડી છે એવો મેસેજ ના જાય એ પણ એક કારણ છે. આ બેઠક હવે ફરી ક્યારે મળશે એ સ્પષ્ટ નથી. લખનઉમાં 20 અને 21 જુલાઈ એટલે કે શનિવારે અને રવિવારે એમ બે દિવસ માટે મળનારી બેઠકમાં યુપીના સંઘના ટોચના નેતાઓ ઉપરાંત ભાજપ તરફથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક, યુપી ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠન મહામંત્રી ધર્મપાલ હાજર રહેવાના હતા. 
યોગી આદિત્યનાથે આ બેઠકને કારણે શનિવાર અને રવિવાર એમ બે દિવસના તેમના તમામ સરકારી કાર્યક્રમો પણ રદ કરી દીધી હતા. ભાજપ અને સંઘ વચ્ચે સંકલનની જવાબદારી સંભાળતા અરૂણ કુમાર શુક્રવારે સાંજે લખનઉ પહોંચવાના હતા પણ અરૂણ કુમાર લખનઉ પહોંચ્યા નહોતા. તેના બદલે જાહેરાત કરાઈ કે આ બેઠક સ્થગિત રખાઈ છે. આ બેઠકમાં ભાજપ અને સંઘના નેતા લોકસભાની ચૂંટણીમાં ભાજપને યુપીમાં મળેલી કારમી પછડાટનાં કારણોની ચર્ચા કરવાના હતા. આ ઉપરાંત ભવિષ્યમાં ભાજપ અને સંઘ વચ્ચે કઈ રીતે વધારે સારી રીતે સંકલન થઈ શકે તેની વ્યૂહરચના પણ ઘડાવાની હતી. યુપીમાં વિધાનસભાની 10 બેઠકોની પેટાચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. પેટાચૂંટણીમાં સંઘ ભાજપને પૂરી તાકાતથી મદદ કરે એ માટે સ્વયંસેવકોની ફરિયાદોનો મુદ્દો પણ એજન્ડામાં હોવાનું કહેવાતું હતું.