કોલંબિયા વિમાન દુર્ઘટનામાં ગુમ થઈ ગયેલા 4 બાળકો 16 દિવસ બાદ સેનાને જીવિત મળ્યા

May 18, 2023

નવી દિલ્હી : કોઈપણ ભયંકર અકસ્માત બાદ બાળકોનું બચી જવુ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવો જ એક ચમત્કાર કોલંબિયામાં થયો છે. પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ બુધવારે જણાવ્યું હતું કે, બે અઠવાડિયા કરતાં પણ વધુ સમય પહેલાં થયેલા પ્લેન ક્રેશ થયા બાદ કોલંબિયાના ગાઢ એમેઝોન જંગલમાં 11 મહિનાના બાળક સહિત ચાર બાળકો જીવિત મળી આવ્યા છે. તેમણે તેને 'દેશ માટે ખુશી' ગણાવી છે. પેટ્રોએ ટ્વીટર પર આ સમાચાર શેર કરતા કહ્યું કે, સૈન્ય દ્વારા મુશ્કેલ શોધ પ્રયાસ બાદછી બાળકો સુરક્ષિત રીતે મળી આવ્યા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અધિકારીઓએ 100થી વધુ સૈનિકોને સ્નિફર ડોગ સાથે તૈનાત કર્યા હતા જેથી બાળકોની તલાશી કરી શકાય જે 1 મે ના રોજ થયેલા પ્લેન ક્રેશમાં યાત્રા કરી રહ્યા હતા. જેમાં ત્રણ વયસ્કોના મોત થઈ ગયા હતા. બચાવકર્મીઓનું માનવું છે કે, આ બાળકોમાંથી એક 11 મહિનાનું બાળક હતું. આ ઉપરાંત 13, 9 અને 4 વર્ષના બાળક સામેલ હતા. દુર્ઘટના બાદથી તેઓ દક્ષિણ કૈક્વેટાના જંગલોમાં ભટકી રહ્યા હતા.

આ પહેલા બુધવારે સશસ્ત્ર દળોએ કહ્યું હતું કે બાળકોને જંગલમાં લાકડાથી બનેલુ આશ્રય મળ્યા બાદ તેમને શોધવા માટેના બચાવ પ્રયાસો વધુ તીવ્ર બન્યા હતા. આ પછી તેમને ખાતરી થઈ ગઈ હતી કે બાળકો હજી જીવિત છે. સશસ્ત્ર દળો દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટામાં જંગલના ફ્લોર પરની શાખાઓ વચ્ચે કાતર અને હેરબેન્ડ જોઈ શકાય છે. અગાઉ એક બાળકની પાણીની બોટલ અને અડધું ખાધેલું ફળ મળી આવ્યું હતું.