સુપ્રીમના ચુકાદા બાદ પાટીદારો પર દાખલ રાજદ્રોહના કેસ પરત ખેંચવા હાર્દિક પટેલે કરી માંગ

May 11, 2022

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપતા રાજદ્રોહના નવા કેસ દાખલ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકાર આ કાયદાની સમીક્ષા ન કરે ત્યાં સુધી નવા રાજદ્રોહના કેસ દાખલ થઈ શકસે નહીં. તો જે વ્યક્તિ આ કેસમાં જેલમાં બંધ છે તે પણ જામીન માટે અરજી કરી શકે છે. હવે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. 
હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન કુલ આઠ આંદોલનકારીઓ સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યુ કે, નિલેશ એરવાડિયા સામે કેસ પરત ખેંચાયો છે. કોંગ્રેસના યુવા નેતાએ આશા વ્યક્ત કરી કે બાકીના રાજદ્રોહના કેસ પણ પરત લેવામાં આવશે. 
રાજદ્રોહની કલમ રદ થવી જોઇએ સરકાર પાસે દેશદ્રોહનો કાયદો છે, તેમ હાર્દિક પટેલે કહ્યુ હતુ. હાર્દિકે કહ્યુ કે રાજસ્થાનમાં ગુર્જર આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસ પરત લેવા જોઈએ. અલગ-અલગ રાજ્યોમાં ઘણા લોકો પર રાજદ્રોહ લગાડવામાં આવ્યો. હાર્દિક પટેલે કહ્યુ કે, કોઈ વ્યક્તિ સમાજ, યુવાનો અને રાજ્ય માટે કામ કરે તો તેના પર રાજદ્રોહ ન લગાડવો જોઈએ. તેનો ઉપયોગ આતંકવાદ અને નક્સલવાદ સામે થવો જોઈએ.
હાર્દિક પટેલે કહ્યુ કે સુપ્રીમના નિર્ણયથી દેશભક્ત, રાજભક્ત યુવાઓને લાભ થશે. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, રાજદ્રોહની કલમ અંગ્રેજોના જમાનાની છે પરંતુ આજે ઈંગ્લેન્ડમાં રાજદ્રોહ નથી.