મોરબી દુર્ઘટના - સુપ્રીમ કોર્ટે મૃતકોના પરિવારને મળેલા વળતર વિશે ચિંતા વ્યક્ત કરી

November 21, 2022

ગાંધીનગર :મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાને લઈને દાખલ કરાયેલી અરજી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે અરજીકર્તાના વકીલ ગોપાલ શંકર નારાયણ અને એસજી તુષાર મહેતાની દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજીકર્તા આ મામલે કોઈ પણ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટમા અરજી કરી શકે છે. મોરબી પુલ દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સતત નજર રાખીને એ ધ્યાન રાખવામાં આવે કે આવી ઘટનાઓ ન બને, હાઈકોર્ટ આ મામલે દલીલો ચાલુ રાખે. 
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હાઈકોર્ટ સ્વતંત્ર તપાસ, કાર્યવાહીમાં તેજી અને યોગ્ય વળતરના મામલે ધ્યાન રાખે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આગ્રહ કર્યો કે, તે નિયમિત અંતરાલ પર સુનવણી કરતુ રહે. જેથી તમામ એન્ગલની બાબતોને સુનવણીમાં સમાવી શકાય. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે, જો તેઓને આગળ જઈને સુપ્રીમ કોર્ટના દખલની જરૂર લાગે તો તેઓ સર્વોચ્ચ ન્યાયાલય પાસે આવી શકે છે. તો બીજી તરફ, હાઈકોર્ટે એ મુદ્દા પર ધ્યાન રાખે, જે અરજી કરનારાઓ તરફથી ઉઠાવવામાં આવ્યા છે. તેના પર નિર્દેશ જાહેર કરે. સાથે જ મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવાનો મામલે સુપ્રીમ કોર્ટે અરજી કરનાર પીડિત પરિવારને સૂચન કર્યું કે, તમે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. તો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને 5 પાસાં પર વિચાર કરવા નિર્દેશ કર્યો છે. 

- સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો
- તપાસ માટે સ્વતંત્ર આયોગની રચના થાય
- નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી થાય
- બ્રિજના દેખરેખની જવાબદાર કંપનીના અધિકારીઓની જવાબદારી નક્કી થાય
- બ્રિજના દેખરેખની જવાબદાર કંપનીના અધિકારીઓની ધરપકડ કરવામાં આવે
- પીડિત પરિવારને યોગ્ય વળતર મળે...