એમ.એસ. યુનિવર્સિટીમાં પોરબંદરના વિદ્યાર્થીનો ફાંસો ખાઈ આત્મહત્યા

September 25, 2024

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ડાયમંડ જુબેલી ટ્રસ્ટ હોસ્ટેલમાં ગઈકાલે બપોરે એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીએ પંખા પર ફાંસો ખાઈ આપઘાત કર્યાના કિસ્સાથી વિદ્યાર્થી જગતમાં દુ:ખની લાગણી પ્રસરી છે. 

પોરબંદર તાલુકાના રાતીયા ગામે રહેતો 18 વર્ષનો વનરાજ મુળુભાઈ રાતીયા એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને નિઝામપુરા રોડ પર આવેલી ડાયમંડ જુબેલી હોસ્ટેલમાં રહેતો હતો. ગઈકાલે તે કોલેજ ગયો ન હતો અને તેને રૂમમાં રહેતા અન્ય બે વિદ્યાર્થી કોલેજમાં ગયા હતા. સાંજે કોલેજ છૂટ્યા પછી બંને રૂમ પાર્ટનર રૂમ પર આવ્યા ત્યારે રૂમનો દરવાજો અડકાવેલો હતો તેઓએ અંદર જઈને જોયું તો વનરાજે પંખા પર નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે હોસ્ટેલના વોર્ડનને જાણ કરવામાં આવતા વોર્ડને ફતેગંજ પોલીસને જાણ કરી હતી. ફતેગંજ પોલીસે સ્થળ પર જઈ મૃતદેહ નીચે ઉતારી પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. 

આત્મહત્યાનું  ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ વનરાજે લખેલી એક અંતિમ ચિઠ્ઠી પોલીસને મળી છે જેમાં તેણે માતા પિતાના મોબાઈલ નંબર તેમજ ‘ગુડ બાય ઓલ ઓફ યુ’ લખ્યું હતું. પોલીસે તેના પરિવારજનોને વતનમાં જાણ કરી છે તેમના પરિવારજનો આવ્યા પછી વધુ વિગતો જાણવા મળશે.