'પંત અને બુમરાહને કોઈ ઈજા ન થવી જોઈએ...' પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને કેમ આપી આવી અગમચેતી?

September 23, 2024

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમાવવાની છે, ત્યારે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઈયાન ચેપલે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને અગમચેતી આપતા કહ્યું કે, 'ઋષભ પંત અને જસપ્રીત બુમરાહને મોટી ઈજાઓ ન થવી જોઈએ.' ચેપલે કહ્યું કે, 'જો ભારતે ઓસ્ટ્રેલિયામાં સીરિઝ જીતવાની ઐતિહાસિક હેટ્રિક હાંસલ કરવી હોય તો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ઈજામુક્ત અને ટોચના ફોર્મમાં રહેવાની જરૂર પડશે. પંતે ભયાનક કાર દુર્ઘટના પછી જે રીતે ટેસ્ટમાં વાપસી કરી છે, તે શાનદાર છે. આમ જો તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ફોર્મમાં રહે છે તો ટીમનું મનોબળ વધશે.'  ચેપલને લાગે છે કે, આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં પાંચ ટેસ્ટ મેચો ઓસ્ટ્રેલિયા સામેની દ્વિપક્ષીય સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે આદર્શ તૈયારી છે, જેમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. પંતે 2020-21 માં ભારત અને ઓસ્ટ્રેલિયાની છેલ્લી સીરિઝના મુખ્ય ખેલાડી રહ્યા છે. ચેપલે કહ્યું કે, 'જો પંત પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો, તે ભારત માટે સારુ રહેશે. જ્યારે ઓગસ્ટ 2023 માં પીઠના ભાગની 'સ્ટ્રેસ ફ્રેક્ચર' સર્જરી પછી, બુમરાહે તેના વર્કલોડને સારી રીતે મેનેજ કર્યું છે.' તેણે કહ્યું કે, 'જો મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા માટે ફિટ રહેશે તો ભારતના બોલિંગમાં સારુ પ્રદર્શન કરી શકશે. જાડેજા અને અશ્વિન સાથે સ્પિન બોલિંગ પણ સારી છે. પરંતુ હું ઓસ્ટ્રેલિયન પીચો પર કુલદીપ યાદવના મહત્વને ઓછું નહીં આંકુ.'