રક્ષાબંધનના દિવસે 200 વર્ષ પછી દુર્લભ યોગ:ગુરુવારે સવારે નહીં, રાતે 8.25 વાગે રાખડી બાંધી શકાશે, ખરીદી માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે

August 10, 2022

આ વખતે રક્ષાબંધનની તિથિ અને નક્ષત્રને લઈને કન્ફ્યુઝન છે, કેમ કે શ્રાવણ પૂનમ બે દિવસ, એટલે 11 અને 12 ઓગસ્ટના રોજ રહેશે. આ અંગે દેશભરના જ્યોતિષીઓ પ્રમાણે ભદ્રા યોગ પૂર્ણ થયા પછી પૂનમ અને શ્રવણ નક્ષત્રનો યોગ, ગુરુવારના દિવસે જ બની રહ્યો છે, એટલે 11 ઓગસ્ટે રાતે જ રાખડી બાંધવી જોઈએ. આ જ કારણ છે કે આ વખતે રક્ષાબંધન માટે માત્ર એક જ મુહૂર્ત રહેશે, જે લગભગ 1 કલાક 20 મિનિટનું હશે. આ પર્વમાં ગ્રહોની દુર્લભ સ્થિતિથી બની રહેલા શુભ યોગને કારણે આખો દિવસ ખરીદી માટે શુભ મુહૂર્ત રહેશે.

જ્યોતિષાચાર્ય ના જણાવ્યા પ્રમાણે, 11 ઓગસ્ટ, ગુરુવારે આયુષ્યમાન, સૌભાગ્ય અને ધ્વજ યોગ રહેશે, સાથે જ, શંખ, હંસ અને સત્કીર્તિ નામના રાજયોગ પણ બની રહ્યા છે. ગુરુ-શનિ વક્રી થઈને પોતાની રાશિઓમાં રહેશે. નક્ષત્રોની આવી દુર્લભ સ્થિતિ છેલ્લાં 200 વર્ષમાં બની નથી. આ મહાસંયોગમાં રક્ષાબંધનનું પર્વ ઊજવવું સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય આપનારું રહેશે.

11 ઓગસ્ટના રોજ પૂનમ તિથિ અને શ્રવણ નક્ષત્ર સાથે જ ગુરુવારનો શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ ગ્રંથોમાં આ યોગને ખરીદીનું શુભ મુહૂર્ત કહેવામાં આવે છે, જેમાં વાહન, પ્રોપર્ટી, ઘરેણાં, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ સામાન અને અન્ય સામગ્રીની ખરીદીથી લાંબા સમય સુધી ફાયદો મળશે, સાથે જ કોઈપણ નવી શરૂઆત માટે આ દિવસ ખૂબ જ સારો રહેશે. આ દિવસે નવી જોબ શરૂ કરવી, મોટી લેવડ-દેવડ કે રોકાણ કરવું ફાયદાકારક રહેશે. શ્રવણ નક્ષત્ર હોવાથી આખો દિવસ વાહન ખરીદી માટે ખૂબ જ શુભ રહેશે.

11 ઓગસ્ટના રોજ પૂનમ તિથિ લગભગ 9.35 કલાકે શરૂ થશે, જે બીજા દિવસે સવારે લગભગ 7.16 વાગ્યા સુધી રહેશે. ત્યાં જ ગુરુવારે ભદ્રા સવારે 10.38થી શરુ થશે અને રાતે 8.25 કલાકે પૂર્ણ થશે, એટલે કાશી વિદ્વત પરિષદ સાથે જ ઉજ્જૈન, હરિદ્વાર, પુરી અને તિરુપતિના વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે ભદ્રાનો વાસ ભલે આકાશમાં રહે કે સ્વર્ગમાં, જ્યાં સુધી ભદ્રાકાળ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય નહીં, ત્યાં સુધી રાખડી બાંધવી જોઈએ નહીં, એટલે બધા જ્યોતિષાચાર્યોના એકમતથી 11 ઓગસ્ટ, ગુરુવારે રાતે 8.25 વાગ્યા પછી જ રક્ષાબંધન ઊજવવી જોઈએ.

થોડા લોકોના જણાવ્યા પ્રમાણે, 11 ઓગસ્ટના રોજ ભદ્રા પાતાળમાં રહેશે, જેને કારણે ધરતી પર અશુભ અસર થશે નહીં, એટલે આખો દિવસ રક્ષાબંધન ઊજવી શકાશે, પરંતુ વિદ્વત પરિષદના જણાવ્યા પ્રમાણે, કોઈપણ ગ્રંથ કે પુરાણોમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યાં જ ઋષિઓએ પણ ભદ્રાકાળ દરમિયાન રક્ષાબંધન અને હોળિકા દહન કરવું અશુભ જણાવ્યું છે, એટલે ભદ્રાના વાસ ઉપર વિચાર ન કરીને દિવસ દરમિયાન રાખડી બાંધવી જોઈએ નહીં. ત્યાં જ 12 તારીખના રોજ પૂનમ તિથિ સવારે માત્ર 2 કલાક જ રહેશે અને એકમ સાથે રહેશે. આ યોગમાં પણ રક્ષાબંધન ઊજવવાની મનાઈ છે.

વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે, રક્ષાબંધન સમયને લઇને ગ્રંથોમાં પ્રદોષ કાળને સૌથી સારો માનવામાં આવે છે, એટલે સૂર્યાસ્ત પછી લગભગ અઢી કલાકનો સમય ખૂબ જ શુભ રહે છે. દિવાળીના દિવસે આ કાળમાં લક્ષ્મીપૂજા કરવામાં આવે છે, સાથે જ હોળિકા અને રાવણ દહન પણ પ્રદોષ કાળમાં કરવાનું વિધાન છે. જ્યોતિષ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ સમયે કરવામાં આવતાં કામનો શુભ પ્રભાવ લાંબા સમય સુધી રહે છે.