મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ સ્થાપિત કરાશે

February 28, 2023

મુંબઈ: મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની એક મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. સચિન તેંડુલકરને તેમના 50માં જન્મદિવસ પર વિશેષ ભેટ મળવા જઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવશે. જણાવી દઇએ કે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે વાનખેડે સ્ટેડિયમમાં પહેલેથી જ સ્ટેન્ડ છે. સચિનને સન્યાસના 10 વર્ષ બાદ આ વિશેષ સન્માન મળવા જઈ રહ્યુ છે. સચિને પોતાના કરિયરની છેલ્લી મેચ આ જ મેદાનમાં રમી હતી અને તેમણે પોતાના કરિયરની શરૂઆત પણ આ જ મેદાનથી કરી હતી. સચિનના સ્ટેચ્યુનું અનાવરણ તેના 50મા જન્મદિવસ પર 23 એપ્રિલે અથવા આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવી શકે છે. સચિનનું સ્ટેચ્યુ ક્યાં સ્થાપિત કરવુ તે સચિને પોતે જ નક્કી કર્યુ છે. એટલા માટે તેઓ પોતાની પત્ની અંજલી સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અમોલ કાલે પણ સ્ટેડિયમમાં હાજર હતા. 
સચિને તેના સ્ટેચ્યુ વિશે કહ્યું કે, આ તેના માટે એક સુખદ ભેટ છે. તેને આ વિશે કોઈ ખ્યાલ નહોતો અને તે  સ્ટેચ્યુ વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે. સચિને કહ્યું કે, આ મેદાન પર તેની કારકિર્દીની શરૂઆત થઈ અને તેની પાસે ઘણી અવિસ્મરણીય યાદો છે. તેની કારકિર્દીની સૌથી ખુશીની ક્ષણ વર્ષ 2011માં આવી જ્યારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો. સચિને એ પણ જણાવ્યું કે, તેના કોચ રમાકાંત આચરેકરે આ મેદાન પર તેનામાં ક્રિકેટ પ્રત્યે અલગ રસ જગાડ્યો હતો અને તે આ રમતમાં કારકિર્દી બનાવવા માટે મક્કમ હતા. એટલા માટે આ મેદાન તેમના માટે ખાસ છે અને અહીં પ્રતિમા હોવી એ ખૂબ મોટી વાત છે. સચિને ભારત માટે 200 ટેસ્ટ, 463 વનડે અને 1 T20 રમ્યો છે. એક્રોસ ધ ફોર્મેટ સચિનના નામે 34,357 રન છે. વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી મારવાનો રેકોર્ડ પણ માસ્ટર બ્લાસ્ટરના નામે છે.