ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી, ન્યૂઝીલેન્ડ શ્રીલંકાને હરાવી બની તારણહાર

March 13, 2023

ઈતિહાસ રચતા ભારતીય ટીમે સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચથી આ સારા સમાચાર આવ્યા છે. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટથી જીત મેળવી છે. તેની સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2023) ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.
ભારત હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જે પહેલાથી જ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યું છે. આ મેચ લંડનના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન રમાશે.  12 જૂનનો દિવસ આ મેચ માટે રિઝર્વ પણ રાખવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તેને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો.ઈન્દોર ટેસ્ટમાં ભારતની હારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનું સમીકરણ રસપ્રદ બની ગયું હતું અને ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ માટે થોડો સમય રાહ જોવી પડી હતી. ઈન્દોર ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાનું સ્થાન નિશ્ચિત થઈ ગયું હતું, પરંતુ ભારતની નિર્ભરતા શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ પર રહી હતી. શ્રીલંકા હાલમાં ન્યુઝીલેન્ડમાં બે ટેસ્ટ મેચની સીરીઝ રમી રહ્યું છે, તેને ફાઇનલમાં પહોંચવા માટે સીરીઝ 2-0થી જીતવી જરૂરી હતી, જે થઇ શક્યું નહીં.
ભારતે આ ચેમ્પિયનશિપમાં કુલ 18 મેચ રમી છે, જેમાં 10માં જીત અને 5માં હાર થઈ છે. જ્યારે 3 ટેસ્ટ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર રહી, જ્યારે ઓસ્ટ્રેલિયા 19 મેચમાં 11 જીત સાથે નંબર-1 પર રહી . દરેક ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 6-6 સિરીઝ રમવાની હતી, જેમાં 3 ઘરઆંગણે અને 3 વિદેશમાં હતી.