"ટીમ ઈન્ડિયામાં નથી મળી રહ્યો મોકો, જલ્દી જ સંન્યાસ લઈ શકે છે આ ત્રણ સ્ટાર ખેલાડી"

July 23, 2024

ભારતીય ટીમ આગામી સીરિઝ રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. જ્યાં ટીમ શ્રીલંકા સામે 3-3 વનડે અને T20 મેચની સીરિઝ રમશે. શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઘરઆંગણે અનેક ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં ભારત બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની યજમાની કરશે. આ લાંબી ટેસ્ટ મેચો માટે ભારતની ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પરંતુ આ ટુર્નામેન્ટ દરમિયાન પણ ત્રણ ખેલાડીઓને રમવાની તક નહીં મળે. કારણ કે ઘણાં લાંબા સમયથી ટીમમાં પસંદગી માટે તેમની અવગણના કરવામાં આવી રહી છે અને હવે ત્રણેય ખેલાડીઓની ઉંમર પણ વધી રહી છે. માટે એવી શક્યતા છે કે તેઓ ટૂંક સમયમાં નિવૃત્તિ લઈ શકે છે. કોણ છે આ ત્રણ ખેલાડી? ચાલો જાણીએ
અજિંક્ય રહાણે : અજિંક્ય રહાણે ભારતીય ટીમનો મહત્વનો ભાગ રહ્યો છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારત માટે મહત્વની ઇનિંગ રમી હતી. જો કે  ભારત આ મેચ જીતી શક્યું ન હતું. પરંતુ અજિંક્યએ તે મેચમાં સારો દેખાવ કર્યો હતો. ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ સીરિઝ બાદથી તે સતત ટીમની બહાર છે. જો તેના રેકોર્ડની વાત કરીએ તો અજિંક્ય રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ મેચોમાં 49.50ની સરેરાશથી 12 સદી અને 26 અડધી સદી ફટકારી છે.
ચેતેશ્વર પૂજારા : ભારતીય ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડીમાનો એક ચેતેશ્વર પૂજારા ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પછીથી ટીમની બહાર છે. તેણે પોતાની છેલ્લી મેચ જુલાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારબાદ તેને બીજી તક આપવામાં આવી ન હતી. તેના વિશે ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, જો પૂજારા ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરશે તો તેની વાપસી થશે. શાનદાર દેખાવ કરવા છતાં પણ હજુ સુધી પુજારાની પસંદગી કરવામાં આવી નથી. તેની ઉંમર પણ વધી રહી છે. તેથી એવું કહેવું ખોટું નહીં કે તે ટૂંક સમયમાં નિવૃત્ત થઈ શકે છે. પૂજારાએ અત્યાર સુધીમાં 103 ટેસ્ટ રમી છે. આ મેચોની 176 ઇનિંગ્સમાં 43.60ની સરેરાશથી 7195 રન બનાવ્યા છે.
ઉમેશ યાદવ : ઉમેશ યાદવ પણ પુજારાની જેમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ભારતીય ટીમ માંથી બહાર ફેંકાઈ ગયો હતો. ગયા વર્ષે જુલાઈમાં રમાયેલી આ મેચમાં તેનો દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો હતો. જેના કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામેની મેચ હારી ગયું હતું. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે ટીમમાં તેની વાપસી પણ મુશ્કેલ લાગી રહી છે. તેની ઉંમર પણ વધી રહી છે. તેથી શક્યતા છે કે તે પણ ટૂંક સમયમાં નિવૃત્ત લઇ શકે છે. ઉમેશ યાદવે ભારતીય ટીમ માટે ટેસ્ટમાં 170 અને વનડેમાં 106 વિકેટ ઝડપી છે.