વિંજલપુરના સરપંચના 23 વર્ષીય પુત્રએ આત્મહત્યા કરી, હાઈવે પર મળ્યો મૃતદેહ

September 20, 2022

જામનગરઃ જામનગર નજીકના ખીજડીયા બાયપાસ ધોરીમાર્ગથી લાલપુર બાયપાસ તરફ જતા રોડ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના સરપંચના પુત્રનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોતાની કારમાં લમણે ગોળી જીકેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
જામનગરમાં મિલન સોસાયટીમાં રહેતા અને દ્વારકા જિલ્લાના વિંજલપર ગામના સરપંચના પુત્રએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પ્રાથમિક પોલીસ તપાસમાં આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની પોલીસે આશંકા દર્શાવી છે . 23 વર્ષે આપઘાત કરી લેનાર યુવાનના આ અંતિમ પગલાને લઈને પરિવાર સહિત આહીર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.


જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં મિલન સોસાયટીમાં રહેતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિજલપર ગામના સરપંચ પીઠાભાઈ ડેરના 23 વર્ષીય પુત્ર જયએ પોતાના પિતાની લાયસન્સ વાળી ગનમાંથી ફાયરિંગ કરી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધો હતો.


પોતાના ઘરે લોકરમાં રાખેલ પિતાનું લાઇસન્સ વાળું હથિયાર કાઢી પુત્ર જય કાર લઇ  જામનગરની ભાગોળે આવેલ ખીજડીયા બાયપાસ પહોંચ્યો હતો ત્યાં સમરસ હોસ્ટેલ સામેના રોડ પર કારમાં જ લમણે ગોળી જીકી આપઘાત કરી લીધો હતો. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. એકના એક પુત્રના અવિચારી પગલાંને લઈને પરીવાર શોકમાં ડૂબી ગયો છે.