દીવ જઇ રહેલી બસને તળાજા હાઇવે પર નડ્યો અકસ્માત, કંડક્ટરનું મોત, 5 મુસાફરોને ઇજા

July 25, 2024

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધી રહી છે. ત્યારે આજે વડોદરાથી દીવ જઇ રહેલી એસટી બસને તળાજા હાઇવે પર ત્રાપજ બંગલા નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કંડક્ટરનું મોત નિપજ્યું હતું જ્યારે 5 મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરોને લઇને વડોદરાથી દીવ જઇ રહેલી સરકારી એસટી બસના ડ્રાઇવરે સ્ટિંયરિંગ પરથી કાબૂ ગુમાવતાં તળાજા હાઇવે પર ત્રાપજ નજીક રોડની સાઇડમાં બનાવેલા જાહેર ટોયલેટ સાથે ધડાકાભેર ટકરાઇ હતી. જેના લીધે ડ્રાઇવર સાઇડના ભાગનો ભુક્કો નિકળી ગયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે 5 મુસાફરોને ઇજા પહોંચી હતી. 

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર અને તળાજાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.