લેસ્ટરમાં કોમી હિંસાના ગૂનેગારોને છોડાશે નહીં : ગૃહમંત્રી બ્રેવરમેન

September 24, 2022

લંડન: બ્રિટનના લેસ્ટરમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો અંગે ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને આકરું વલણ અપનાવ્યું છે. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓની સાથે સ્થાનિક હિન્દુ-મુસ્લિમ સમાજના નેતાઓની મુલાકાત લીધી હતી અને લેસ્ટરમાં શિવ મંદિર પર હુમલો કરનારા ગૂનેગારોને છોડાશે નહીં તેવી ખાતરી આપી હતી. બ્રિટનમાં ભારતીય મૂળના નવાં ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને ઈસ્ટર્ન ઈંગ્લેન્ડ સિટીનો પ્રવાસ કર્યો. તેણે લેસ્ટરશાયરના પોલીસ વડાની મુલાકાત લીધી. સાથે જ સ્થાનિક મંદિર અને મસ્જિદના નેતાઓને પણ મળ્યા. તેમણે કહ્યું કે, કાયદો-વ્યવસ્થા સાથે ગંભીર ચેડાં કરનારી આ ઘટનામાં અત્યાર સુધીમાં ૪૭ લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને આ ઘટનાના ગૂનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.
તેમણે પાછળથી ટ્વીટ કરીને કહ્યું, મેં લેસ્ટરશાયરના પોલીસ અધિકારીઓ, લેસ્ટરશાયરના ટેમ્પરરી ચીફ કોન્સ્ટેબલ અને સ્થાનિક ધાર્મિક નેતાઓની મુલાકાત કરી. સ્થાનિક લોકોની સુરક્ષા માટે ઉઠાવાયેલા પગલાંની ચર્ચા કરી અને લેસ્ટરમાં સુરક્ષા અને ભાઈચરો પાછા લાવવા અંગે વાતચીત કરી. તેમણે ઉમેર્યું, જેમણે આપણા રસ્તા પર કાયદો હાથતમાં લીધો હતો તેમણે કાયદાનો સામનો કરવો પડશે. તેમને વિશ્વાસ છે કે આપણા જાબાંઝ પોલીસ અધિકારીઓ આપણને સુરક્ષિત રાખશે.