જ્ઞાનસેતુ સહિતની સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ જુલાઈના અંતે થવાની શક્યતા

May 21, 2023

રાજ્યમાં સામાજિક ભાગીદારીથી શરૂ થનારી જ્ઞાનસેતુ સહિતની કુલ ચાર પ્રકારની પ્રોજેક્ટ સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર અન્ય સ્કૂલોની સરખામણીએ મોડું શરૂ થશે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં 13મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. પરંતુ જ્ઞાનસેતુ સહિતની સ્કૂલોમાં સત્રનો પ્રારંભ થતા જૂલાઈ માસનો અંત આવી જશે. કારણ કે, આ સ્કૂલોમાં શિક્ષકોની ભરતી દ્વિસ્તરીય ટાટના આધારે કરવાની છે અને ટાટની મેઈન્સનું પરિણામ આવતાં જૂલાઈ આવી જશે.

રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ અને રક્ષાશક્તિ સહિત કુલ ચાર પ્રકારની સ્કૂલો શરૂ થનાર છે. આ સ્કૂલોમાં રાજ્યની સરકારી સ્કૂલોમાં ધોરણ.5માં અભ્યાસ કરતાં બાળકોને ધો. 6થી નિઃશુલ્ક ભણાવાશે. પ્રથમ વર્ષે 50 હજારથી વધુ બાળકોને પ્રવેશ અપાશે. જેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 27મી એપ્રિલના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ હતી જેનું પરિણામ આવતા હજુ ત્રણ-ચાર દિવસ લાગશે. પરિણામ આવ્યાં બાદ વિદ્યાર્થીઓને મેરીટના આધારે સ્કૂલોની પસંદગી અને ફાળવણી કરાશે. બીજી તરફ હજુ તમામ સ્કૂલોની ફાઇનલ પસંદગી અને MOUની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી.