PFIના દેખાવો દરમિયાન કેરલમાં હિંસા, કેટલાયે સ્થળોએ બોમ્બમારો, 70 બસમાં તોડફોડ

September 23, 2022

હડતાલનાં એલાનને પગલે રાજ્યમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી છે

તિરૂવનંતપુરમ્ : ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈંડીયા (PFI) એ શુક્રવારે કેરલમાં દિવસભરની હડતાલનાં આપેલા એલાનને પગલે રાજ્યમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી છે. સમગ્ર રાજ્યમાં પરિવહન બસો પર પથ્થરબાજી થવાના, દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડવાના અને રમખાણોના બનાવો નોંધાયા છે. પરિસ્થિતિ વણસતી જોઈ હાઈકોર્ટે સ્વયમેવ આદેશ જારી કરી પોલીસને રમખાણકારો સામે સખતમાંથી સખત પગલાં લેવા હુકમ જારી કર્યો છે.


રાજ્યના વિભિન્ન ભાગોમાં આશરે ૭૦ જેટલી સહકારી બસોને નુકસાન કરાયું છે. કેટલાંએ સ્થળોએ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા છે અને ઉત્તર કેરલનાં કન્નૂર સ્થિત આર.એસ.એસ.નાં કાર્યાલય ઉપર તોફાની તત્વોએ હુમલો કર્યો હતો. આ હિંસા માટે ૨૦૦ થી વધુ PFI કાર્યકરોની ધરપકડ કરાઈ છે. કેટલાંક સ્થળોએ તો એમ્બ્યુલન્સ ઉપર પણ પથ્થરબાજી થઈ છે. હિંસામાં ૧૨ મુસાફરો અને છ ચાલકો ઘવાયા છે.

કેરલ હાઈકોર્ટે PFI નાં હડતાળનાં એલાન તથા રાજ્યમાં ફાટી નીકળેલી હિંસાની નોંધ લીધી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, હડતાલ અંગે પહેલેથી જ અમે પ્રતિબંધ મુકાયો છે. સાર્વજનિક સંપત્તિને નુકસાન થતું ચલાવી જ ન લેવાય. સાથે હડતાલ પ્રતિબંધતા આદેશનો ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.


આ ઉપરાંત હાઈકોર્ટે PFI ના પ્રદેશ મહામંત્રી અબુબાકર વિરૂદ્ધ કેસ દાખલ કરવા પોલીસને હુકમ કર્યો છે. તે સર્વવિદિત છે કે, ગુરૂવારે દેશભરમાં દરોડા પાડી PFI ના પદાધિકારીઓની થયેલી ધરપકડના વિરોધમાં અબુબાકરે જ ગુરુવારે જ જુમ્માના દિને (શુક્રવારે) રાજ્યભરમાં હડતાલ પાડવા એલાન આપ્યું હતું. આ તોફાનો ડામવામાં પોલીસની નિર્બળતાની ટીકા કરતાં વિપક્ષ ભાજપે કહ્યું હતું કે પોલીસે કટ્ટરપંથી સંગઠન સામે નમ્રતાપૂર્વક આત્મ-સમર્પણ કર્યું છે. કન્નૂરમાં અખબાર લઈ જતી એક વાન ઉપર બોમ્બ ફેંકાયો હતો. તે જિલ્લામાં જ પોલીસે બે પેટ્રોલ બોમ્બ લઈ જતા PFI ના એક કાર્યકરની ધરપકડ કરી છે. કોઝીકોડામાં એક વાહન ઉપર પથ્થરબાજી થતાં ૧૫ વર્ષની એક છોકરી ઘાયલ થઈ હતી. કોલામમાં બાઈક પર સવાર હુમલાખોરોએ પોલીસનાં એક સ્થિર વાહનને ટક્કર મારી એક પોલીસને ઘાયલ કર્યો હતો.