અગ્નિવીર, ખેડૂતો, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દે રાહુલ ગાંધીના પાટણમાં ભાજપ પર આક્રમક પ્રહાર

April 29, 2024

લોકસભા ચૂંટણી ટાણે હવે ત્રીજા તબક્કાનું મતદાન નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ કમર કસી લીધી છે. ગુજરાતમાં આ વખતે મતદાન છે ત્યારે ભાજપ રૂપાલા વિવાદને કારણે પડકારો સહન કરી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાટણના પ્રગતિ મેદાનમાં એક જનસભા સંબોધી હતી. અહીં રાહુલ ગાંધીએ જય અંબાજી બોલીને ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, 'આટલી ગરમીમાં પણ દૂર દૂરથી આવેલા લોકોનો આભાર. હાલ દેશમાં બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે. ભાજપના રાજમાં હિન્દુસ્તાનનું લોકતંત્ર અને બંધારણ બચશે કે નહીં એ મોટો સવાલ છે. ભાજપ અને સંઘના લોકો ઇચ્છે છે કે બંધારણ ખતમ થઇ જાય. પણ કોંગ્રેસ પાર્ટી બંધારણની રક્ષા કરે છે. આઝાદી પછી ગરીબ પ્રજાને જે કંઈ મળ્યું છે, તે બંધારણના કારણે મળ્યું છે.’  રાહુલ ગાંધીએ કહ્યું કે ‘બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે અને મોદી સરકાર તેને જ ખતમ કરી દેવા માગે છે. અનામતને ખતમ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ન્યાય માટે જ અનામત વ્યવસ્થા છે અને ભાજપ એનો જ દુશ્મન બની ગયો છે. અનામતને ખતમ કરવાનો બીજો માર્ગ એટલે ખાનગીકરણ. અને દેશમાં સૌથી મોટો મુદ્દો કોઈ હોય તો તે બેરોજગારી છે. એટલે જ અનામતનો અર્થ છે દેશમાં ગરીબોની પણ ભાગીદારી.’ આવકની અસમાનતા મુદ્દે પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘મોદી સરકારે તેમના મિત્ર જેવા 22 ઉદ્યોગપતિનું 16 લાખ કરોડનું દેવું માફ કરી દીધું પણ ખેડૂતો વિશે તેમને વિચાર નથી આવતો. તેમનું દેવું માફ નથી કરતાં. યુપીએ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. હાલ દેશમાં 22 લોકોની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી થઇ ગઈ છે. દેશમાં 90% લોકો જીએસટી ચૂકવે છે અને આ 22 લોકોના ખિસ્સામાં તે જાય છે. શું તમે મને જણાવશો કે દેશની કોઈ એવી કંપની છે કે જેનો માલિક કોઈ આદિવાસી હોય. 90 આઈએએસ અધિકારી આખો દેશ ચલાવે છે. આ 90માંથી ત્રણ પછાત, ત્રણ દલિત અને એક માત્ર એક જ આદિવાસી છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં શું થયું એ બધાએ જોયું જ છે. ’  રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમે સત્તામાં આવીશું તો ખાનગીકરણ અટકાવીશું. અગ્નિવીર યોજના રદ કરીશું કારણ કે, આવી યોજનાઓથી દેશને નુકસાન થઈ રહ્યું છે. આ યોજના મોદી સરકારના કાર્યાલય દ્વારા લાગુ કરવામાં આવી છે. તેનાથી અન્યાય થયો છે, નુકસાન થયું છે. I.N.D.I.A. ગઠબંધન સત્તામાં આવતા જ તેને રદ કરી દેવાશે. હાલની સરકારે પાંચ અલગ અલગ પ્રકારના જીએસટી લગાવી દીધા છે, જે અયોગ્ય છે. અમે તેમાં ફેરફાર કરીશું. અમે સીધોસાદો જીએસટી લાવીશું અને તેનાથી લોકોને મોટો ફાયદો થશે.’ ભાષણના અંતે રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાના પ્રજાવત્સલ રાજા કૃષ્ણકુમાર સિંહજીને પણ યાદ કરીને તેમના વખાણ કર્યા હતા.  નોંધનીય છે કે, હાલમાં જ તેમના રાજા-રજવાડા પરના નિવેદનના કારણે વિવાદ સર્જાયો હતો.