નિજ્જર હત્યા મામલે 3 ભારતીયોની ધરપકડથી હડકંપ, ભારત-કેનેડા વિવાદ ફરી વકરે તેવી શક્યતા

May 04, 2024

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હત્યા માટે જવાબદાર કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ત્રણ શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડિયન પોલીસ (Canadian Police)એ શુક્રવારે મોટી કાર્યવાહી કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ આરોપીઓની ઓળખ કથિત હિટ સ્કવોડના સભ્યો તરીકે કરવામાં આવી હતી. પોલીસ છેલ્લા કેટલાક મહિનાઓથી આ લોકોની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. કોર્ટના દસ્તાવેજોથી મળેલી માહિતી અનુસાર, નિજ્જર કેસમાં કમલપ્રીત સિંહ, કરણપ્રીત સિંહ અને કરણ બ્રાર પર હત્યા અને કાવતરાનો આરોપ છે. આ ઉપરાંત, ધરપકડ કરાયેલા ત્રણ શંકાસ્પદોની ઓળખ ભારતના નાગરિક તરીકે કરવામાં આવી છે. નિજ્જર હત્યાકાંડ બાદ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)એ આ હત્યા માટે ભારતીય એજન્ટોને જવાબદાર ઠેરવ્યા હતા. જો કે ભારતે  ટ્રુડોના આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે  ટ્રુડોએ અગાઉ પણ આવા પાયાવિહોણા નિવેદનો આપ્યા હતા. તેમનું નિવેદન ફરી એકવાર કેનેડામાં ઉગ્રવાદ, અલગતાવાદ (khalistan separatist) અને હિંસાને આપવામાં આવેલી રાજકીય સ્થાનને પ્રતિબિંબિત કરે છે. ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો હતો.