'વાઘોડિયાની ધરતી પર ભાજપને મેં જન્મ આપ્યો છે - મધુ શ્રીવાસ્તવ

May 05, 2024

વાઘોડિયા : લોકસભા ચૂંટણી માટે પ્રચારનો આજે (પાંચમી મે) ગુજરાતમાં અંતિમ દિવસ છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ માટે પ્રચાર કર્યો હતો. તેમણે જાહેર સભાને સંબોધતા કહ્યું કે, 'વાઘોડિયાની ધરતી પર ભાજપને જન્મ આપનાર મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયાની ધરતી પર ભાજપને હરાવનાર પણ મધુ શ્રીવાસ્તવ છે.'


ભાજપ ઉમેદવાર પર પ્રહારો કરતા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, 'તું પૈસાના જોર પર જીતવા નીકળ્યો છે. તારા કાર્યકરો લોકોની જમીન લખાવી લે છે. લોકોની સેવા કરો, લોકોને રોજી રોટી અપાવો, સારા કાર્યો કરો. હું જ્યાં સુધી છું ત્યાં સુધી લોકોની સેવા કરતો રહીશ.'
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, 'હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ તમામ ધર્મના મારા કાર્યકરો છે અને મારા કાર્યકરોનો કોલર જો કોઈ પકડશે તો તેને ગોળી ન મારું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. મારા કાર્યકરોને મારવાનો કોઈ પ્રયાસ કરતા નહીં. ચૂંટણી તો આવશે અને અને જતી રહેશે. હું લડી લેવાની તાકાત ધરાવું છું.' ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં રહે છે. અગાઉ તેમણે એક જાહેર સભામાં કહ્યું હતુ કે, 'હજી સાતમી તારીખે ચૂંટણી છે. આ સમય દરમિયાન જો કોઈ તમારો કોલર પકડે તો મધુ શ્રીવાસ્તવ પાસે આવજો, ફાયરિંગ ના કરું તો હું મધુ શ્રીવાસ્તવ નહીં.'