કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષામાં વધારો, ગૃહ મંત્રાલયે આપી Z કેટેગરીની સુરક્ષા

October 14, 2024

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ જૂથ)ના ચીફ ચિરાગ પાસવાનની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને CRPFની Z કેટેગરીની સુરક્ષા આપી છે. આ પહેલા ચિરાગની સુરક્ષામાં SSB કમાન્ડો તેહનાત હતા. હકીકતમાં IBના ધમકીના અહેવાલ બાદ તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે Z કેટેગરી હેઠળ ચિરાગ પાસવાનની સુરક્ષામાં કુલ 33 સુરક્ષા ગાર્ડ તેહનાત રહેશે. આ સાથે જ 10 સશસ્ત્ર ગાર્ડ તેમના નિવાસ સ્થાન પર તેહનાત રહેશે. આ ઉપરાંત 6 રાઉન્ડ ધ ક્લોક પીએસઓ, ત્રણ શિફ્ટમાં આર્મ્ડ સ્કોર્ટના 12 કમાન્ડો, વોચર્સ શિફ્ટમાં 2 કમાન્ડો અને 3 ટ્રેન્ડ ડ્રાઈવરો ચોવીસ કલાક હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં ચિરાગ પાસવાન કેન્દ્રીય મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની પાર્ટી 2014થી મોદી સરકારનો હિસ્સો છે, પરંતુ નરેન્દ્ર મોદીના બે કાર્યકાળમાં તેમને કોઈ મોટી જવાબદારી આપવામાં નહોતી આવી. પોતાને મોદીના હનુમાન ગણાવતા ચિરાગ પાસવાન સતત પોતાની પાર્ટીના વિસ્તરણ પર કામ કરી રહ્યા છે. થોડા સમય પહેલા IBએ ચિરાગને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ધમકીનો રિપોર્ટ સોંપ્યો હતો, તેને ધ્યાનમાં રાખી હવે તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.