જેતપુર- પૂજા કરવા ન બોલાવતા ગુસ્સે થયેલા ગોર મહારાજે ધક્કો મારતા યજમાનનું મોત

May 05, 2024

રાજકોટ- જેતપુર તાલુકાના રબારીકા ગામે રાઠોડ પરિવારને પિતૃ કાર્યોનો ગામમાં એક હવનનું આયોજન કર્યુ હતું. જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના સેવાભાવી વૃદ્ધ સેવા બજાવતા હતાં. હવન ચાલુ હતું તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ દવે નામના ગોર મહારાજ, કે જે રબારીકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતાં હતા. તેઓ હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યા હતા.  તેઓએ યજમાન વૃદ્ધે ગોર મહારાજને કહ્યું હતું કે,તમે અમને હવનના કર્મકાંડના 11 હજાર કહ્યા હતા, જે અમને પરવડે તેમ ન હોવાથી અમને ઓછી દક્ષિણા લેતા બીજા ગોર મહારાજને બોલાવવા પડ્યા. આ વાતથી અમૃતલાલ દવે ગુસ્સે ભરાયા હતા.

તેઓએ યજમાન રવજીભાઈ સાથે ગાળાગાળી કરી તેનો ધક્કો માર્યો હતો. જેથી રવજીભાઈ ઘરમાં રહેલ પાણીયારાની પથ્થરની પાટ સાથે તેનું માથું ટકરાયું હતું. તેમને માથાના પાછળના ભાગે ઇજા પહોંચતા તેઓ બેભાન થઈ ગયાં. જેથી તેઓને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.  પરંતું તેમને હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોકટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતાં. સામાન્ય બાબતે બોલાચાલીનો બનાવ યજમાનના મોતમાં પરિણમતા પોલીસે મૃતકના મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો.