સરહદ પર તૈનાત BSF જવાનો માટે અપગ્રેડેડ પોસ્ટ્સની વ્યવસ્થા પણ કરાશે, સરકારે 1500 કરોડનું બજેટ ફાળવ્યું

May 17, 2025

જમ્મુ-કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં હિન્દુ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ, પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા મજબૂત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ભારત સરહદી વિસ્તારોમાં એવી વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે જેનાથી પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ માટે ઘૂસણખોરી મુશ્કેલ બનશે. આ સાથે, સરહદ પર ચોવીસ કલાક તૈનાત રહેલા BSF જવાનો માટે અપગ્રેડેડ પોસ્ટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે. સરકારે આ માટે 1500 કરોડ રૂપિયાનું ભંડોળ બહાર પાડવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે સરહદી વિસ્તારોમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ ઝડપથી વિકસાવવાની યોજના પર કામ શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો અને ઘૂસણખોરીની ઘટનાઓને રોકવાનો છે.તાજેતરની ઉચ્ચ-સ્તરીય બેઠકો પછી, આ દિશામાં ગંભીર પગલાં લેવામાં આવ્યા છે. સરહદી વિસ્તારોમાં રસ્તાઓ, વાડ અને દેખરેખ પ્રણાલી જેવા પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા માટે નાણાં અને ગૃહ મંત્રાલયો સંયુક્ત રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે.