વીજળી પડતાં યુપીમાં 13, મહારાષ્ટ્રમાં 9નાં મોત, કેરળમાં શાળાઓ બંધ

June 16, 2025

દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમ થયા બાદ હવે તે ઉત્તર અને પશ્ચિમના રાજ્યો નજીક પહોંચવા લાગ્યું છે. જેને પગલે ગાજવીજ સાથે વરસાદ પણ પડવા લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 13 લોકોના મોત થયા હતા. આ જાનહાનિ પ્રયાગરાજ, સંભલ, બિજનોર, ગોરખપુરમાં થઇ હતી. મહારાષ્ટ્રમાં પણ વીજળી પડવા સહિતની વરસાદની ઘટનાઓમાં 9 લોકોના મોત નિપજ્યા છે. 

દક્ષિણમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હોવાથી કેરળમાં સ્થિતિ વધુ ખરાબ થવા લાગી છે. કેરળમાં અનેક જિલ્લાઓમાં સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવી છે.  ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી જે 13 લોકો માર્યા ગયા છે તેમાં એક જ પરિવારના ચાર લોકોનો પણ સમાવેશ થાય છે. પ્રયાગરાજના સોનવર્ષા ગામમાં વિરેન્દ્ર વનવાસી તેની પત્ની પારવતી અને બન્ને પુત્રીઓ વાંસની છતવાળા એક મકાનમાં રાત્રે ઉંઘી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડી હતી.

જેને કારણે ચારેય લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. બિજનોરમાં બે લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડતા મોત થયું હતું.  બીજી તરફ કેરળમાં રવિવારે પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડયો હતો, જેને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે નદીઓ ભયજનક સપાટી વટાવી ચુકી હતી. જેથી મોટાભાગના ડેમોને ખોલવા પડયા હતા.