માત્ર 55 દિવસ બહાર રહ્યા બાદ આઝમ ખાન ફરી જેલભેગા! પાનકાર્ડ મામલે પિતા-પુત્રને 7-7 વર્ષની સજા

November 18, 2025

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાનને જામીન પર બહાર આવ્યાના માત્ર 8 અઠવાડિયાની અંદર જ ફરી જેલમાં જવું પડ્યું છે. આઝમ ખાન ફક્ત 55 દિવસ માટે જ જેલની બહાર રહી શક્યા અને તેમની સાથે તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ પણ જેલ ગયા છે. સોમવારે બપોરે અદાલતે તેમને અને તેમના પુત્ર (પૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ)ને બે પાન કાર્ડ રાખવાના કેસમાં દોષિત ઠેરવ્યા. કોર્ટે બંનેને 7 વર્ષની કેદની સજા અને 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે, જેના પગલે બંનેને રામપુર જેલમાં લાવવામાં આવ્યા છે.

આ કેસની શરુઆત 2019માં થઈ હતી, જ્યારે રામપુરના બીજેપી ધારાસભ્ય આકાશ સક્સેનાએ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અબ્દુલ્લાએ પોતાની ઉંમર અને ઓળખના દસ્તાવેજોમાં ફેરફાર કર્યો છે. તપાસ આગળ વધતા આઝમ ખાનની સંડોવણી પણ સામે આવી, જેના પગલે બંને પર કાનૂની કાર્યવાહી કરવામાં આવી. આખરે, MP-MLA મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે બપોરે પોતાનો નિર્ણય સંભળાવતાં જણાવ્યું કે બંને આરોપીઓ સામેના આરોપો સાબિત થયા છે. કોર્ટે બંનેને સાત વર્ષની કેદ અને 50 હજાર રૂપિયાના દંડની સજા આપી અને હાલમાં બંનેને જેલમાં મોકલી દેવાયા છે.