અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ

July 03, 2026

યુદ્ધ રોકવાના પ્રયાસો શરૂ, સૈન્ય મોરચે ઈરાન નબળું પડ્યાનો દાવો

ન્યુ યોર્ક ઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન અમેરિકાની લગભગ તમામ શરતો માનવા માટે રાજી થઈ ગયું છે. કતારના દોહામાં બંને દેશો વચ્ચે યોજાયેલી પરોક્ષ વાટાઘાટો બાદ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. જોકે, ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચાલી રહેલી વાતચીતને લઈને અમેરિકી તંત્ર અને આંતરરાષ્ટ્રીય સૂત્રોના દાવાઓમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે.


એક ઈન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે બંને દેશો વચ્ચે વાતચીતનો દોર ચાલી રહ્યો છે અને ઈરાન તેમની તમામ માંગણીઓ સ્વીકારી ચૂક્યું છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે યુદ્ધને સંપૂર્ણપણે ખતમ કરવાના પ્રયાસો અત્યારે પ્રારંભિક તબક્કામાં છે. વાતચીતની સાથે ટ્રમ્પે તાજેતરની સૈન્ય કાર્યવાહીનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે ઈરાન સૈન્ય મોરચે હવે ઘણું નબળું પડી ગયું છે અને તેની પાસે હવે ગણીગાંઠી મિસાઈલો જ બચી છે. એક ડ્રોન દ્વારા જહાજને નિશાન બનાવવાનો પ્રયાસ થયા બાદ અમેરિકી સેનાએ જવાબી કાર્યવાહીમાં સતત હુમલા કર્યા હતા.


ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કતારની રાજધાની દોહામાં અમેરિકા અને ઈરાન વચ્ચે બે દિવસ સુધી પરોક્ષ વાતચીત ચાલી હતી. આ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિઓ આમને-સામને બેઠા નહોતા, પરંતુ કતાર અને પાકિસ્તાનના મધ્યસ્થો (મીડિએટર્સ) દ્વારા એકબીજા સુધી સંદેશા પહોંચાડવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચારના અહેવાલો મુજબ, આ મંત્રણા દરમિયાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં દરિયાઈ વાહનોની સુરક્ષિત અવરજવર અને ઈરાનના અટકાવી દેવાયેલા ફંડને મુક્ત કરવા જેવા ટેકનિકલ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી, પરંતુ કાયમી શાંતિ માટે કોઈ મોટો કરાર થઈ શક્યો નથી.


વોશિંગ્ટનથી ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાની દિશામાં સારી પ્રગતિ થઈ રહી છે. બીજી તરફ, રાજદ્વારી સૂત્રોનું કહેવું છે કે દોહાની બેઠકમાં પરમાણુ મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી કારણ કે આ બેઠક માત્ર ટેકનિકલ બાબતો પર કેન્દ્રિત હતી. અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે પણ સ્પષ્ટતા કરી છે કે પરમાણુ કાર્યક્રમ પર આગામી રાઉન્ડમાં વિગતવાર વાતચીત હાથ ધરાશે. કતારના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈરાનમાં ચાલી રહેલા શોક સભાઓ અને જનાઝાના કાર્યક્રમો બાદ હવે પછીની બેઠક યોજાશે. જેમાં બાકીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.