'આદિપુરુષ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ', મનોજ મુન્તશિરે હાથ જોડીને માફી માંગી!

July 26, 2026

બોલિવૂડના જાણીતા ગીતકાર અને સંવાદ લેખક મનોજ મુન્તશિરે ઓમ રાઉતની વિવાદાસ્પદ ફિલ્મ ‘આદિપુરુષ' અંગે એક મોટો સ્વીકાર કર્યો છે. ફિલ્મના વિવાદાસ્પદ સંવાદોના કારણે દેશભરમાં ભારે આક્રોશનો સામનો કરી ચૂકેલા મનોજ મુન્તશિરે સાર્વજનિક રૂપે સ્વીકાર્યું છે કે આ ફિલ્મ તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. રામાયણ પર આધારિત આ ફિલ્મમાં પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાને મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ તેના નબળા અને વાંધાજનક સંવાદોને કારણે સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી તેનો ભારે વિરોધ થયો હતો. મનોજ મુન્તશિરે એક તાજેતરના નિવેદનમાં ભાવુક થતાં જણાવ્યું કે, તેઓ દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ક્ષમાપ્રાર્થી છે. તેમણે કહ્યું કે, રામાયણ જેવા પવિત્ર ગ્રંથ સાથે જોડાયેલી વાર્તાને રૂપેરી પડદે રજૂ કરતી વખતે તેમનાથી ગંભીર ભૂલ થઈ ગઈ હતી અને તે માટે તેઓ જનતા સમક્ષ હાથ જોડીને માફી માંગે છે. વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ'ના કેટલાક ડાયલોગ્સ, જેમ કે "કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા…" સોશિયલ મીડિયા પર સખત ટ્રોલ થયા હતા. લોકોએ આક્ષેપ કર્યો હતો કે રામાયણ જેવા મહાકાવ્યના પાત્રોના મોઢે આવા સડકછાપ સંવાદો શોભતા નથી. શરૂઆતમાં મનોજ મુન્તશિરે પોતાના લખાણનો બચાવ કર્યો હતો અને દલીલ કરી હતી કે તેમણે આ ભાષા સામાન્ય જનતા અને યુવા પેઢી સરળતાથી સમજી શકે તે માટે વાપરી છે. જોકે, વધતા જતા વિરોધ અને હિન્દુ સંગઠનોની નારાજગી બાદ મેકર્સને થિયેટરોમાં ચાલતી ફિલ્મમાંથી તે સંવાદો બદલવાની ફરજ પડી હતી.
પોતાની ભૂલનો સ્વીકાર કરતાં મનોજ મુન્તશિરે જણાવ્યું કે, તેમનો ઈરાદો ક્યારેય પણ ભગવાન રામ કે હનુમાનજીના ભક્તોની આસ્થાને નુકસાન પહોંચાડવાનો ન હતો. તેઓ પોતે સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે, પરંતુ તેઓ એ વાતનો ઈનકાર કરી શકતા નથી કે જે પણ લખાણ પડદા પર આવ્યું તેનાથી લોકોની લાગણી દુભાઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ એક એવી ભૂલ છે જેને તેઓ ક્યારેય પોતાના કરિયરમાંથી ભૂંસી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, ભારે બજેટ સાથે બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ધારી સફળતા મેળવી શકી નહોતી. ફિલ્મના નબળા વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને પાત્રોના લુકની પણ આકરી ટીકા થઈ હતી. પ્રભાસ અને ઓમ રાઉત જેવા દિગ્ગજો જોડાયેલા હોવા છતાં આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ હતી. હવે લાંબા સમય બાદ મનોજ મુન્તશિરની આ જાહેરમાં માંગેલી માફી સોશિયલ મીડિયા પર ફરી એકવાર ભારે ચર્ચાનો વિષય બની છે.