ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનું રાજીનામું, AGM પહેલા જ અચાનક લીધો નિર્ણય

August 12, 2026

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીની 18 ઓગસ્ટે યોજાનારી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) પહેલાં જ તેમણે આ ચોંકાવનારો નિર્ણય લીધો છે.

ટાટા જૂથ સાથે 40 વર્ષની કારકિર્દી પૂર્ણ કરનારા એન. ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમની વર્તમાન ટર્મ ફેબ્રુઆરી 2027માં પૂર્ણ થઈ રહી છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ટર્મ પૂરી થયા બાદ ફરી આ હોદ્દા માટે દાવેદારી નહીં નોંધાવે.

પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, "મેં ટાટા ગ્રૂપમાં વ્યાવસાયિક જીવનના 40 વર્ષ પૂર્ણ કર્યા છે. આ મહાન સંસ્થામાં યોગદાન આપવાની તક મળી તે મારા માટે અત્યંત સંતોષજનક રહ્યું. છેલ્લા એક દાયકાથી ટાટા સન્સનું નેતૃત્વ કરવું એ મારા માટે બહુ મોટું સન્માન અને મોટી જવાબદારી હતી. સુચારુ કામગીરી(Transition) સુનિશ્ચિત કરવા માટે મેં બોર્ડને ટૂંક સમયમાં જ નવો ઉત્તરાધિકારી નક્કી કરવા વિનંતી કરી છે." તેમના રાજીનામાના સમાચાર બહાર આવતા જ ટાટા ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ જેવી કે TCS, ટાટા સ્ટીલ અને ટાટા પાવરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ચંદ્રશેખરનના રાજીનામા પાછળ શેરધારકો સાથેની ખેંચતાણ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા સાથેના મતભેદો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. પોતાના સત્તાવાર નિવેદનમાં ચંદ્રશેખરને ખુલાસો કર્યો હતો કે, ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા સન્સની નોમિનેશન કમિટીએ ફેબ્રુઆરી 2027 પછી પણ તેમને વધુ 5 વર્ષની ટર્મ આપવા માટે સર્વસંમતિથી ભલામણ કરી હતી. પરંતુ, 24 ફેબ્રુઆરી 2026ના રોજ બોર્ડ મીટિંગ દરમિયાન બોર્ડના એક સભ્યે આ પ્રસ્તાવને ટેકો આપ્યો ન હતો. સર્વસંમતિના અભાવને કારણે તેમણે પોતે જ આ પદ પરથી હટી જવાનો નિર્ણય લીધો હતો.

ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ વચ્ચે બોર્ડમાં પ્રતિનિધિત્વ, ગ્રૂપની ભવિષ્યની રણનીતિ અને લઘુમતી શેરધારક શાપૂરજી પાલનજી (Shapoorji Pallonji) ના પ્રસ્તાવિત એક્ઝિટને લઈને લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા. ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ચંદ્રશેખરનને ફરીથી ચેરમેન બનાવવાનો વિરોધ કર્યા બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એન. ચંદ્રશેખરન 1987માં ટાટા ગ્રૂપમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ 2009માં TCSના CEO બન્યા અને વર્ષ 2017માં તેમણે ટાટા સન્સના ચેરમેન તરીકેની સૂત્ર સંભાળ્યા હતા. પોતાના એક દાયકાના કાર્યકાળ દરમિયાન તેમણે એર ઈન્ડિયાના ટેકઓવર સહિત અનેક પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો.