ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે

September 11, 2026

નવી દિલ્હી : નવી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મા બ્રિક્સ સમિટ માટે આખરે ચીને મૌન તોડ્યું છે. શિખર સંમેલનના મુખ્ય કાર્યક્રમની શરૂઆત થવાના માત્ર 48 કલાક પહેલાં જ બેજિંગ તરફથી સત્તાવાર રીતે પુષ્ટિ કરાઈ છે કે, ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે. ઘણાં સમયથી ચાલી રહેલી અટકળો અને સવાલો વચ્ચે આ જાહેરાતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આટલા મોટા કાર્યક્રમ માટે ચીને છેલ્લી ઘડી સુધી રાહ કેમ જોઈ? ચાલો ચીનની આ વ્યૂહરચના પાછળના કારણો સમજીએ.

ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહેલી 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આ સંમેલનનું આયોજન ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ પુષ્ટિના થોડા કલાકો પહેલાં જ બેજિંગમાં એક પત્રકાર પરિષદમાં પ્રવક્તાએ મુલાકાત અંગે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અન્ય નેતાઓની હાજરી અગાઉથી જ નક્કી હતી, પરંતુ ચીનના મૌનને કારણે એવી અટકળો તેજ બની હતી કે કદાચ જિનપિંગ રૂબરૂ આવવાને બદલે કોઈ પ્રતિનિધિને ભારત મોકલશે.

જિનપિંગની આ ભારત મુલાકાત 7 વર્ષ બાદ થઈ રહી છે. અગાઉ તેમણે 2019 માં મહાબલિપુરમમાં અનૌપચારિક શિખર સંમેલન માટે મુલાકાત લીધી હતી. ત્યારબાદ 2020 માં ગલવાન ખીણમાં થયેલા સૈન્ય તણાવને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો લાંબા સમય સુધી ખરાબ રહ્યા.

તેથી આ મુલાકાત બ્રિક્સ માટે જ નહીં, પરંતુ ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં પણ એક મોટા સમાચાર બની ગઈ છે.

વાટાઘાટોનો એજન્ડા નક્કી કરવો: ચીન હંમેશા એજન્ડા ફાઈનલ થયા પછી જ મોટી જાહેરાતો કરે છે. એવી સંભાવના છે કે શનિવારે સમિટની સાથે જ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે એક અલગ બેઠક યોજાશે. છેલ્લી ઘડી સુધી મૌન રહીને ચીને સરહદ વિવાદ, વેપાર અસંતુલન, રોકાણ અને લોકોની અવરજવર જેવા સંવેદનશીલ વિષયો પર ચર્ચા માટેનો એજન્ડા નક્કી કરવાનો સમય મેળવી લીધો. જો વહેલી જાહેરાત કરી હોત તો મીડિયાની અટકળો અને દબાણ વધી ગયું હોત.