ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત

August 31, 2026

કૌશાંબી : ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને પ્રયાગરાજની SRN હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. ગંભીર હાલતમાં એક મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે લગભગ 2 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો ગભરાઈ ગયા હતા. હાલમાં પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓની ટીમ મામલાની તપાસમાં લાગી ગઈ છે. ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ ઘટના કૌશામ્બી અને પ્રયાગરાજ બોર્ડર પર આવેલા થાણા પીપરી અને પૂરામુફ્તી વિસ્તારની સીમા પાસે આદિત્ય નામે ચાલતા ફટાકડાના ગોડાઉનની છે. સોમવારે સવારે લગભગ 11 વાગ્યે અહીં એક ભયાનક વિસ્ફોટ થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે હજુ સુધી તંત્ર તરફથી મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ કેસમાં મૃતકોની સંખ્યા 15ને પાર પહોંચી શકે છે. 25થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર છે. વિસ્ફોટ બાદ કાટમાળમાં દબાવાના કારણે ઈંટ અને સરિયાથી તેમના શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે. હજી પણ ઘણા લોકો કાટમાળ હેઠળ દબાયેલા છે, જેમને JCB વડે ખોદકામ કરીને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.