80મા સ્વાતંત્ર્ય પર્વે PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું રાષ્ટ્રને સંબોધન, 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ

August 15, 2026

દેશભરમાં આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે અને વિવિધ સ્થળોએ મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક નેતાઓએ દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અંતર્ગત દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં PM મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધન કર્યું હતું. પોતાના ભાષણમાં તેમણે અનેક મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ કરવાની સાથે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સંકલ્પ પર ભાર મૂક્યો હતો.

રાષ્ટ્રને સંબોધતા PM મોદીએ કહ્યું કે આજે દરેક ભારતીયનું હૃદય વંદે માતરમની ધૂન સાથે ધબકી રહ્યું છે અને દરેક ઘરમાં તિરંગો લહેરાઈ રહ્યો છે. આ પ્રસંગે તેમણે ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ભારે વરસાદને કારણે દેશના અનેક વિસ્તારોમાં આવેલા પૂરનો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હું દરેક પ્રભાવિત પરિવારોને વિશ્વાસ અપાવું છું કે હું તમારી સાથે ઊભો છું.”

PM મોદીએ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું ભારતનું સૌથી મોટું સપનું છે. આ સ્વપ્ન 140 કરોડ ભારતીય નાગરિકોની તાકાત અને તેમના સંકલ્પથી પ્રેરિત હશે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ્યારે વિકસિત બનશે ત્યારે સમગ્ર દુનિયાને એક નવો અને મજબૂત સંદેશ મળશે અને ભારતને જોવાનો વિશ્વનો નજરીયો પણ બદલાઈ જશે. વિકસિત ભારતના આ સ્વપ્નને સાકાર કરવા માટે PM મોદીએ દેશના યુવાનો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.