વરસાદ થંભ્યા બાદ પણ ગુજરાતમાં મુશ્કેલીઓ યથાવત, 40,500 લોકોનું સ્થળાંતર, 30 શ્રમિકોને એરલિફ્ટ કરીને બચાવ્યા

July 25, 2026

અતિભારે વરસાદ બાદ અમદાવાદ, વલસાડ, નવસારી અને સુરત સહિત અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ વચ્ચે લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં વ્યાપક નુકસાન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા હોવાનું રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ 40,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 6,367 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

તાપી, વલસાડ, આણંદ, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત નોંધાયા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક વરસાદના 90.98 ટકા અને નવસારી જિલ્લામાં 95.13 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદ અને પૂરની ગંભીર સ્થિતિને પગલે રાજ્યમાં આર્મી અને ભારતીય કોસ્ટગાર્ડને પણ બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યા છે.

રાહત કામગીરી માટે આર્મીની બે ટુકડીઓ અમદાવાદ, બે વલસાડ અને બે નવસારીમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે ચાર ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે. ઉપરાંત NDRFની 17 અને SDRFની 32 ટીમો રાજ્યભરમાં સતત બચાવ કામગીરી ચલાવી રહી છે.

દક્ષિણ ગુજરાતના ગણદેવી તાલુકાના મેંધર ગામ નજીક ઝિન્ગા તળાવ વિસ્તારમાં પૂર વચ્ચે ફસાયેલા આશરે 30 શ્રમિકોને ભારતીય કોસ્ટગાર્ડે એર રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ શ્રમિકો 24 કલાકથી કાચા શેડના છાપરા પર ફસાયેલા હતા. સોશિયલ મીડિયા મારફતે મદદની અપીલ બાદ જિલ્લા વહીવટી તંત્ર, ભારતીય કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓના સંકલનથી હેલિકોપ્ટરની મદદથી તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.