વિવાહ પંચમી પર અયોધ્યામાં ધ્વજારોહણ થશે, જાણો ધ્વજ ફરકાવવાનું શુભ મુહૂર્ત

November 24, 2025

ભગવાન શ્રીરામ અને માતા સીતાના પવિત્ર લગ્નની સ્મૃતિમાં દર વર્ષે ભવ્ય કાર્યક્રમો યોજાય છે, અને આ વખતે પણ શહેરનું વાતાવરણ ખુબજ ભક્તિમય બની ગયું છે. અયોધ્યાના વિવિધ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં વિશેષ પૂજન, ભજન-કીર્તન અને શોભાયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

વિવાહ પંચમીના શુભ પ્રસંગે અયોધ્યાના અનેક મુખ્ય મંદિરોમાં પરંપરાગત ધ્વજારોહણનું આયોજન કરવામાં આવશે. માન્યતા છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં ધ્વજ ફરકાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સદ્ભાગ્યનો વાસ થાય છે. સાથે જ શ્રીરામ-સીતા લગ્નોત્સવનું આ એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રતિક પણ માનવામાં આવે છે.

શુભ મુહૂર્તની વાત કરીએ તો, જ્યોતિષાચાર્યો મુજબ વિવાહ પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્તથી બપોર સુધીનો સમય ખૂબ જ શુભ ગણાય છે. ધ્વજારોહણ માટે સવારે 7:15 થી 9:05 કલાક સુધીનો સમય અત્યંત મંગલકારી માનવામાં આવે છે.

આ સમયે ધ્વજ ફરકાવવાથી વિશેષ પુણ્ય અને કલ્યાણકારી ફળ મળવાનો વિશ્વાસ છે, કારણ કે આ સમય દરમિયાન તિથિઓ અને નક્ષત્રોનો શુભ સંયોગ રહે છે. અનેક મંદિરોમાં ધ્વજારોહણ આ જ સમયમાં યોજાશે. ઉપરાંત બપોરના 11:40 થી 12:25 દરમિયાન અભિજિત મુહૂર્ત પણ શુભ માનવામાં આવે છે, જેમાં વિશેષ પૂજા-વિધિઓ યોજાશે.