PM મોદી પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદ

March 18, 2025

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને મુઘલ શાસક ઔરંગઝેબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે બીજેપીના એક સાંસદે શિવાજી મહારાજ વિશે એવું નિવેદન આપ્યું કે તેના પર નવો વિવાદ શરૂ થઈ ગયો છે. ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતે સંસદમાં કહ્યું કે, 'પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા.' સાંસદના આ નિવેદનથી સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી હંગામો થઈ ગયો હતો. લોકસભામાં બોલતા ભાજપના સાંસદે કહ્યું કે, 'હું એક સંતને મળ્યો હતો. સંતે મને કહ્યું કે પીએમ મોદી તેમના પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા.' ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના આ નિવેદનને લઈને હોબાળો થયો છે. જેનો સોશિયલ મીડિયા પર પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. બીજેપી સાંસદના આ નિવેદનનો કોંગ્રેસ સહિત વિપક્ષના ઘણા સભ્યોએ વિરોધ કર્યો હતો, ત્યારબાદ આ મામલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અનુરોધ કર્યો હતો કે, 'જો આ ટિપ્પણીથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તેને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવા પર વિચાર કરવામાં આવે.'  કોંગ્રેસ સાંસદ વર્ષા એકનાથ ગાયકવાડે બીજેપી સાંસદનો વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, 'ભાજપ નેતૃત્વ દ્વારા અખંડ ભારતના દેવ છત્રપતિ શિવાજી મહારાજનું વારંવાર અપમાન કરવા અને મહારાષ્ટ્ર અને વિશ્વભરમાં શિવપ્રેમીઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ લોકોએ નરેન્દ્ર મોદીના માથા પર છત્રપતિ શિવાજી મહારાજનો મુકુટ મૂકીને શિવાજી મહારાજનું ઘોર અપમાન કર્યું છે. શિવાજી મહારાજનું વારંવાર અપમાન કરવા બદલ અમે ભાજપની નિંદા કરીએ છીએ. નરેન્દ્ર મોદીએ તાત્કાલિક દેશની માફી માંગવી જોઈએ અને આ સાંસદને સસ્પેન્ડ કરવા જોઈએ.