T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, રોહિત જ કેપ્ટન

April 30, 2024

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ પણ ફરી રોહિત શર્માને જ સોંપવામાં આવ્યું છે. આ સાથે રિષભ પંતને વિકેટ કીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. 

T20 વર્લ્ડકપ માટેની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. જ્યારે તેની સાથે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને યથાવત્ રખાયો છે. બીજી બાજુ યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. આ સાથે રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ લાંબી ચર્ચા અને મંથન બાદ ટીમની જાહેરાત કરી હતી. ચીફ સિલેક્ટર અજિત અગરકરના નેતૃત્વ હેઠળની નેશનલ સિલેક્શન કમિટીએ અનેક ખેલાડીઓના નામ પર ચર્ચા કરી હતી. છેવટે 15 ખેલાડીઓના નામ ફાઈનલ કરાયા હતા. જેમાં હાર્દિક પંડ્યા જે હાલમાં IPLમાં ખરાબ ફોર્મમાં દેખાઈ રહ્યો છે તેનો પણ સમાવેશ કરાયો હતો અને આ સાથે તેને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. તેને ટીમનો વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. આ સાથે નવા ચહેરા અને યુવાઓની સ્ક્વૉડમાં શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, અક્ષર પટેલ અને ચહલનો સમાવેશ કરાયો હતો. જ્યારે શુભમન ગિલને રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જે ખેલાડીઓને T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન નથી મળ્યું તેમાં સૌથી ટોચે નામ છે કે.એલ. રાહુલનું. જ્યારે મોહમ્મદ શામી જે ઈજાને કારણે આઈપીએલમાં પણ રમી શક્યો નથી તેનું પણ આ યાદીમાં નામ સામેલ નથી.   

ઓલરાઉન્ડરોની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન મળ્યું છે. હાર્દિક T20 વર્લ્ડ કપમાં પણ વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. IPL 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ તેમના સારા પ્રદર્શન માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.