બહેનનું અપમાન સાંખી નહીં લઉં, પરિવારમાં કલેશ મુદ્દે તેજ પ્રતાપ યાદવની ચેતવણી

November 16, 2025

પટણા ઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ તથા કોંગ્રેસ ગઠબંધનનો કારમો પરાજય થયો છે. લોકોએ ભારતીય જનતા પાર્ટી તથા જેડીયુના નેતૃત્વવાળી NDAને પ્રચંડ બહુમતી આપી છે. ત્યારે પરિણામ બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ફરી તિરાડ પડી છે. અગાઉ યાદવ પરિવારમાંથી તેજ પ્રતાપ યાદવને ઘરમાંથી કાઢી મુકાયા બાદ રાજકીય ખળભળાટ મચી ગયો હતો, ત્યારે હવે લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ પરિવાર તથા પક્ષ સાથે સંબંધો તોડવાની જાહેરાત કરી છે, જેને લઈને તેજ પ્રતાપ પરિવાર પર ગુસ્સે થયો છે. તેજ પ્રતાપે બહેન રોહિણી આચાર્યને લઈને સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી છે.
તેજ પ્રતાપ યાદવે પોતાની જન શક્તિ જનતાદળ પાર્ટીના ઈન્ટાગ્રામ પર લખ્યું છે કે, રોહિણી આચાર્ય સાથે થયેલી ઘટનાએ મારા દિલને અંદર સુધી હચમચાવી દીધું છે. મારી સાથે જે થયું, તે હું સહન કરી ગયો... પરંતુ મારી બહેન સાથે જે અપમાન થયું, તે કોઈપણ સંજોગોમાં અસહનીય છે.


તેજ પ્રતાપે તેજસ્વી યાદવ નું નામ લીધા વગર તેજસ્વીના સલાહકાર સંજય દાવ અને રમીજ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું છે કે, સાંભળી લો, જયચંદો... પરિવાર પર હુમલો કરશો તો બિહારની પ્રજા તમને ક્યારેય માફ નહીં કરે. જ્યારે મેં મારી બહેન પર ચપ્પલ ઉઠાવવાની વાત સાંભળી, ત્યારે મારા દિલની વેદના હવે આગમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે લોકોની લાગણીઓને ઠેસ પહોંચે છે, ત્યારે બુદ્ધિ પરની ધૂળ ઉડી જાય છે. આ થોડા ચહેરાઓએ તેજસ્વીની બુદ્ધિ પર પડદો ઢાંકી દીધો છે. તેજ પ્રતાપે ચેતણી આપતા લખ્યું છે કે, આ અન્યાયનું પરિણામ ખૂબ જ ભયાનક આવશે, સમય ગમે ત્યારે બદલાતો રહે છે. તેજ પ્રતાપે પિતા લાલુ યાદવને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે અને લખ્યું છે કે, પિતાજી, માત્ર એક સંકેત આપો... તમારો માત્ર એક ઈશારો... અને પછી જુઓ બિહારની પ્રજા આ જયચંદોને જમીનમાં દફનાવી દેશે. આ લડાઈ માત્ર પક્ષની નથી, પરિવારના સન્માનની છે. પુત્રીની ગરિમા અને બિહારના સ્વાભિમાનની લડાઈ છે.