યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્યઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ

September 05, 2025

યુનાટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ સંદર્ભે મહત્ત્વનું નિવેદન આપ્યું છે કે, યુક્રેનમાં નિર્દોષોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે. યુએનમાં ભારતના  કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે કહ્યું કે, ભારત યુક્રેનની સ્થિતિ મુદ્દે સતત ચિંતિત છે. અમે માનીએ છીએ કે, નિર્દોષ લોકોની હત્યા સ્વીકાર્ય નથી. કોઈપણ પ્રકારનું સમાધાન યુદ્ધના માર્ગે આવશે નહીં. આથી યુક્રેન યુદ્ધનો અંત તમામ માટે હિતકારક છે.


પર્વથનેનીએ જણાવ્યું કે, ભારતે હંમેશા કહ્યું છે કે, યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો સંવાદ અને વ્યૂહનીતિ છે. ભલે આ માર્ગ કઠિન હોય પણ આ દિશામાં તમામ પક્ષોની સંપૂર્ણ ભાગીદારી અને પ્રતિબદ્ધતા કાયમી શાંતિ લાવી શકે છે.  યુક્રેન યુદ્ધમાં શાંતિ લાવવા માટે સકારાત્મક પ્રયાસોને આવકારીએ છીએ. અલાસ્કામાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે યોજાયેલી શિખર બેઠકનું સમર્થન કરીએ છીએ. યુક્રેનના પ્રમુખ સાથે પણ ટ્રમ્પની મુલાકાત અને વાતચીત મહત્ત્વપૂર્ણ છે. ભારતે કહ્યું કે, આ બદલાતી સ્થિતિ પર નજર રાખતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રમુખ પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સહિત યુરોપિયન નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. અમને વિશ્વાસ છે કે, આ તમામ વ્યૂહનીતિ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે અને એક કાયમી શાંતિની સ્થાપના કરશે. ભારતે વધુમાં જણાવ્યું કે, અમને દુઃખ છે કે, આ યુદ્ધના માઠા પરિણામ જેમ કે, ક્રૂડના ભાવોમાં વૃદ્ધિથી સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો પ્રભાવિત થયા છે. જ્યાં સૌથી ખરાબ અસર થઈ છે. આ દેશોના અવાજ પણ સાંભળવા જોઈએ અને તેમની ગંભીર સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવી જોઈએ.