ન્યાયતંત્રમાં એઆઇના દુરુપયોગને રોકવા યોગ્ય નીતિ નિયમો ઘડવા બાર કાઉન્સિલને સુપ્રીમનો આદેશ

July 03, 2026

AIના ફેક ચુકાદાના આધારે ટ્રિબ્યુનલનો નિર્ણય, સુપ્રીમ લાલઘુમ


દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇનો બેફામ ઉપયોગ નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે, સુપ્રીમ કોર્ટમાં ફરી એક વખત એઆઇ દ્વારા જનરેટ થયેલા એક ફેક ચુકાદાનો મામલો સામે આવ્યો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટે ચેતવણી જાહેર કરી છે કે હવેથી ફેક ચુકાદાઓને લઇને કોઇ પણ પ્રકારની દલીલ ચલાવી નહીં લઇએ અને આકરા પગલા લેવામાં આવશે. આ સાથે જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પણ આ મામલે યોગ્ય નિયમો ઘડવા કહ્યું છે.


સુપ્રીમે કોર્ટ કાર્યવાહીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇ દ્વારા તૈયાર કરાયેલા ફેક અને મનમાનીભર્યા ચુકાદાઓના ઉપયોગને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમે સ્પષ્ટતા કરી છે કે ચકાસણી વગર જ આવા એઆઇ દ્વારા તૈયાર થતા ફેક ચુકાદાઓનો સહારો લેવામાં આવશે અને તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે તો હવેથી ઝીરો ટોલરેંસ નીતિ અપનાવાશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બીસીઆઇને પણ આ મુદ્દે યોગ્ય નીતિ નિયમો ઘડવા સુપ્રીમે આદેશ આપ્યો છે.


સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પીએસ નરસિમ્હા અને આલોક અરાધેની બેંચે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને તેની એપેલન્ટ ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલા એક ચુકાદાને રદ કર્યો હતો તે સમયે એઆઇને લઇને આ આકરી ચેતવણી આપી હતી. ટ્રિબ્યુનલ દ્વારા એવા ચુકાદાને આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે ફેક અથવા એઆઇ જનરેટેડ હતો. તેથી સુપ્રીમે નોંધ્યું હતું કે ફેક દસ્તાવેજોના આધારે લેવાયેલો નિર્ણય કોઇ જ મહત્વ નથી ધરાવતો. વકીલોને આવા ફેક ચુકાદાઓ જમા કરતા રોકવા માટે યોગ્ય માળખુ ઘડવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તાત્કાલીક કમિટીની રચના કરે.


વકીલોને પણ ચેતવણી આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોઇ વકીલ તપાસ કર્યા વગર જ આવા ફેક ચુકાદાઓનો કોર્ટ કાર્યવાહીમાં ઉલ્લેખ કરે કે તેનો સહારો લે તો તેને કદાચાર માનવામાં આવશે. જો કોઇ જજ આવા ફેક ચુકાદાઓ કે બનાવટી એઆઇ સામગ્રી પર વિશ્વાસ કરી લે તો તે પણ એક ગંભીર ભૂલ જ ગણાશે. કદાચ આવા ફેક ચુકાદાઓના આધારે કોઇ ચુકાદો કે આદેશ આપવામાં આવે તો પણ તેને આદેશ કે ચુકાદો ગણવામાં નહીં આવે. કોઇ ચુકાદામાં માત્ર એક બે અંશો પણ જો આવી ફેક સામગ્રીના આધારે સામેલ કરાયા હશે તો પણ સંપૂર્ણ ચુકાદો જ રદ કરી દેવો જોઇએ. સુપ્રીમ કોર્ટે અન્ય એક ટકોર કરતા કહ્યું હતું કે વિવિધ વિવાદોના નિકારણ માટે અને ન્યાયના ક્ષેત્રમાં એઆઇ દ્વારા તૈયાર આવા બનાવટી ચુકાદા જનરેટ કરવા કે તેનો ઉપયોગ કરવો તે કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં મિથાઇલ આઇસોસાઇનેટ ગેસના લીકેજ સમાન છે.