‘હવે દેશભરમાં...’ આંદોલન ખતમ થયા બાદ શું કરશે CJP? આશુતોષ રાંકાએ બતાવ્યો પ્લાન

July 26, 2026

નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રીના રાજીનામા સહિતની તમામ 3 માંગણીઓ સરકારે સ્વીકારી લેતા કોકરોચ જનતા પાર્ટી (CJP)એ જંતર-મંતર પર ચાલી રહેલું આંદોલન પૂરું કરવાની જાહેરાત કરી છે. આ સફળતા બાદ હવે પાર્ટી આગામી સમયમાં દેશભરમાં જઈને અન્ય મહત્વના મુદ્દાઓ ઉઠાવવાની તૈયારી કરી રહી છે. CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે, 'આ દેશનો યુવા જાગી ગયો છે અને તેણે પોતાના અધિકારો તથા સાચી બાબત માટે લડાઈ લડી છે. અંતે આપણી માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. અમે એ તમામ પરિવારો વિશે વિચારી રહ્યા છીએ જેમણે પેપર લીકના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.' પેપર લીકના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું હોવાનું જણાવતા રાંકાએ ઉમેર્યું કે, 'આજે ચોક્કસપણે ન્યાય થયો છે. હવે જે પણ નવા શિક્ષણ મંત્રી બને, તેઓ પૂરી ઈમાનદારી અને જવાબદારી સાથે પોતાનું કામ કરશે તેવી અમને આશા છે.'
પાર્ટીના ભવિષ્યના આયોજન અંગે વાત કરતા આશુતોષ રાંકાએ કહ્યું કે, 'જે રીતે અમે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેવી જ રીતે હવે અમે સમગ્ર દેશમાં જઈને અન્ય પ્રશ્નો પણ ઉઠાવીશું. દેશના યુવાનો માટે અમારે જે પણ કરવું પડશે, તે અમે કરીશું.'