બગદાણા કેસમાં જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર

February 07, 2026

ભાવનગર જિલ્લાના બગદાણામાં બનેલી ચકચારી ઘટનામાં જેલમાં બંધ જયરાજ આહીર સહિત છ આરોપીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. આજે, 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ મહુવા કોર્ટે આ તમામ આરોપીઓની શરતી જામીન અરજી મંજૂર કરી છે. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ મળેલી આ સફળતા અંગે જયરાજ આહીરના વકીલ ગુણવંત આહીરે પુષ્ટિ કરી છે કે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજ સુધીમાં જયરાજ જેલમુક્ત થઈ શકે છે.

નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા જેલમાં હતા. ગઈકાલે મહુવા કોર્ટમાં આ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષના વકીલો વચ્ચે કલાકો સુધી તીખી દલીલો ચાલી હતી. બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આજે શરતી જામીન પર મંજૂર કર્યા છે.