નવસારીમાં 13 વર્ષના કિશોરનું હાર્ટએટેકથી શંકાસ્પદ મોત, છાતીમાં દુઃખતા હોસ્પિટલ ખસેડાયો હતો

May 26, 2025

આજે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને તહેનાત કરાયેલા 29 વર્ષીય હોમ ગાર્ડનું હાર્ટ એટેકેથી મૃત્યુ થયું હતું. આ ચોંકાવનારી ઘટના બાદ હવે નવસારીના તપોવન સંસ્કાર ધામથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ભણતાં એક 13 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએટેકને કારણે મોત થતાં ચકચાર મચી ગઈ છે.  માહિતી અનુસાર તપોવન સંસ્કાર ધામમાં ભણતા આ વિદ્યાર્થીને અચાનક જ છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર દરમિયાન ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીની ઓળખ મેઘ જૈન તરીકે થઇ છે અને તે મૂળ  મહારાષ્ટ્રના સહાદાનો રહેવાશી હતો.  મેઘ જૈન તપોવન સંસ્કાર ધામમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તપોવન સંસ્કાર ધામનું સંચાલન જૈન સમાજ દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ મામલે મેઘ જૈનના પરિવારે સંસ્કાર ધામ સામે બેદરકારી દાખવ્યાનો આરોપ મૂક્યો છે. જો કે સંસ્થા તરફથી જણાવાયું હતું કે વિદ્યાર્થીને છાતીમાં દુ:ખાવો થયો હતો, તેને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું રસ્તામાં મોત નીપજ્યું હતું. આ મામલે તપાસ કરતા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે મૃત્યુ પામેલા બાળક મેઘ જૈનના વિસેરા લઈને તપાસ માટે એફએસએલને મોકલી દીધા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.