અંકલેશ્વરમાં વધુ એક પોલીસકર્મીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ

November 02, 2025

અંકલેશ્વર- અંકલેશ્વરના અમરતપુરા પાટીયા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં ફરજ પરના પોલીસકર્મીનું મૃત્યુ થયું છે. મૃતક પોલીસકર્મી અરવિંદ ચૌધરીના અવસાનથી સમગ્ર પોલીસ બેડામાં અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર, મૃતક પોલીસકર્મી અરવિંદ ચૌધરી અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનું મૃત્યુ એક સેવાકીય કાર્ય પૂર્ણ કર્યા બાદ થયું છે. તેમણે રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા શ્વાનને જોયું હતું. તેણે તુરંત જ શ્વાનને મદદ કરી અને એનિમલ એમ્બ્યુલન્સ બોલાવીને તેનો જીવ બચાવ્યો હતો. આ માનવતાભર્યું કાર્ય પૂર્ણ કર્યા બાદ તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા, આ દરમિયાન અતિ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યો છે અને PM બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.