કાપડથી લઈને કેમિકલ સુધી 'રેડ એલર્ટ': ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ

March 03, 2026

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે વણસી રહેલી યુદ્ધની સ્થિતિએ ગુજરાતના અર્થતંત્ર અને પ્રવાસન ક્ષેત્ર માટે ખતરાની ઘંટડી વગાડી છે. જો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે, તો ગુજરાતના આઠથી દસ મુખ્ય ઉદ્યોગોમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે અને ટુર ઓપરેટરોને અંદાજે ₹50 કરોડનો આર્થિક ફટકો પડવાની ભીતિ છે.

ઔદ્યોગિક ક્ષેત્રે પડનારા પ્રત્યાઘાતો

  • વૈશ્વિક અસ્થિરતાને કારણે સુરત, અમદાવાદ, મોરબી અને જામનગર જેવા ઔદ્યોગિક કેન્દ્રો ડામાડોળ થવાની શક્યતા છે. 
  • કૃષિ અને ટેક્સટાઇલ : આરબ દેશોમાં એરંડા, મગફળી અને કપાસની નિકાસ અટકતા સ્થાનિક બજારમાં ભાવ ઘટવાની શક્યતા છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, જે મધ્ય-પૂર્વના દેશોમાં મોટા પાયે નિકાસ કરે છે, તેને સીધો ફટકો પડશે.
  • સિરામિક અને કેમિકલ: મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ સપ્લાય માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર નિર્ભર છે; આ માર્ગ બંધ થતા ઉત્પાદન ખોરવાશે. તેવી જ રીતે, ક્રૂડ ઓઈલ મોંઘું થતા ભરૂચ અને દહેજના પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં કાચા માલના ભાવ વધશે.
  • હીરા અને ફાર્મા: યુરોપ-અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટશે અને સોનાના ભાવ વધતા સ્થાનિક મંદી આવશે. ફાર્મા ક્ષેત્રે 'એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ' (API)ની આયાત મોંઘી થતા દવાઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે.
  • લોજિસ્ટિક્સ: કંડલા, મુદ્રા અને પીપાવાવ પોર્ટ પરથી થતા પરિવહનને અસર પહોંચતા વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે.