અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ!

June 26, 2026

સુરત:  ડાયમંડ સિટી સુરતમાં બોલિવૂડ સેલિબ્રિટીના લાઈવ શો આયોજિત કરવાના નામે એક ઇવેન્ટ મેનેજમેન્ટ વેપારી સાથે રૂ. 1.41  કરોડથી વધુની ઠગાઈ આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  સુરતના મોટા વરાછા ખાતે રહેતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અભિષેક મોરડિયા અને તેમના ભાગીદાર હિતેશ ગજેરા સાથે મુંબઈની બે કંપનીના ડિરેક્ટરોએ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ થયો છે. આ અંગે સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ મુખ્ય આરોપી અનિંદા નેતાઈ સીલને મુંબઈના અંધેરી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના અન્ય એક સાથીદાર અનંતકુમાર ગુપ્તાની શોધખોળ આદરી છે.


ઘટનાની વિગત મુજબ, વર્ષ 2024માં ફરિયાદીઓએ સુરતમાં એક મોટો લાઈવ શો યોજવાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેની મુંબઈના અનિંદા સીલ અને અનંતકુમાર ગુપ્તા સાથે મુલાકાત થઈ હતી. આ બંને આરોપીઓએ બોલિવૂડ કલાકારો સાથેની પોતાની તસવીરો બતાવીને વેપારીને તેની આભામાં લીધો હતો અને સુરતમાં પ્રખ્યાત ગાયક અરિજીત સિંહનો લાઈવ શો કરાવવાનો ભરોસો આપી રૂ. 11 લાખ ટોકન મની લઈ MoU સાઇન કર્યો હતો. જો કે, થોડા સમય પછી અરિજીત સિંહનો શો શક્ય નથી તેમ કહી આરોપીઓએ તેના બદલામાં કપિલ શર્મા અને નોરા ફતેહીનો લાઈવ શો કરાવવાની નવી લાલચ આપી હતી.
આરોપીઓએ સેલિબ્રિટીઝની ફી, ફ્લાઈટ ટિકિટ, વેન્યુ બુકિંગ અને ફાઈવ સ્ટાર મેરિયટ હોટેલમાં રોકાણ સહિતના વિવિધ ખર્ચાઓના બહાના હેઠળ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતામાં કુલ રૂ. 1.43 કરોડ જેટલી ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ દરમિયાન તપાસમાં જાણવા મળ્યું હતું કે  આરોપીની કંપનીનું ગુજરાત જીએસટી રજીસ્ટ્રેશન પહેલેથી જ બ્લોક હતું, તેમ છતાં તેમણે બોગસ ઇન્વોઇસ અને ઈ-વે બિલ બનાવીને ફરિયાદીને આપ્યા હતા. આ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવતા જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ફરિયાદીએ જ્યારે પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ માત્ર રૂ.1.15 લાખ પરત કર્યા હતા અને બાકીની રકમ માટે આપેલા સિક્યુરિટી ચેક પણ બેંકમાં બાઉન્સ થયા હતા. પૈસા પાછા માંગવા પર આરોપીઓએ ફોન પર ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
સુરત પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા મુખ્ય આરોપી અનિંદા નેતાઈ સીલની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે અ અંગે જણાવ્યું હતું કે આરોપીનો કોઈ સેલિબ્રિટી સાથે સીધો સંબંધ નહોતો. તે માત્ર જુદા-જુદા કાર્યક્રમોમાં સેલિબ્રિટીઝ સાથે પાડવામાં આવેલી તસવીરોનો ઉપયોગ સોશિયલ મીડિયા પર લોકોને ફસાવવા માટે કરતો હતો. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ દેશના અન્ય કોઈ શહેરોમાં પણ આ પ્રકારે લોકો સાથે ઠગાઈ આચરી છે કે નહીં.