દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું નુકસાન

November 10, 2025

દિલ્હી અને તેની આસપાસનાNCR વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી ગંભીર બની છે, સમગ્ર શહેર પર ધુમાડાનું ગાઢ આવરણ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) મુજબ, સોમવારે સવારે દિલ્હીનો સરેરાશ AQI 372 ('ગંભીર' શ્રેણી) નોંધાયો, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 300થી 400 વચ્ચે રહ્યો. NCR શહેરોમાં પણ સ્થિતિ ખરાબ છે, જેમાં ફરીદાબાદ (312), ગાઝિયાબાદ (318), ગ્રેટર નોઈડા (325), ગુરુગ્રામ (328) અને નોઈડા (310) માં AQI 'અત્યંત ખરાબ' થી 'ગંભીર' શ્રેણીમાં નોંધાયો છે.

પર્યાવરણ નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી આ પ્રદૂષિત હવામાં રહેવાથી શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા તથા હૃદય અને ફેફસાંની બીમારીઓ વધી શકે છે. ઘણા લોકોએ શ્વાસ ફૂલવો, ગળામાં ખંજવાળ આવવાની ફરિયાદો કરી છે. બીજી તરફ, દિલ્હી-એનસીઆરમાં ઠંડી પણ વધી રહી છે. લઘુત્તમ તાપમાન 11°C (સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું) અને દિવસનું તાપમાન 27-28°C આસપાસ જળવાયું છે. હવામાન વિભાગ અનુસાર, 15-20 કિલોમીટર પ્રતિ કલાકની ઠંડી હવાને કારણે સવાર-સાંજ વધુ ઠંડી અનુભવાશે.

હવામાન વૈજ્ઞાનિકો અનુસાર, હવાની ધીમી ગતિ, તાપમાનમાં ઘટાડો અને વધેલા ભેજના કારણે પ્રદૂષકો હવામાં ઉપર જઈ શકતા નથી. તેમજ આસપાસના રાજ્યોમાં પરાળ સળગાવવાથી ધુમાડો અને પ્રદુષણનું સ્તર ગાઢ બની રહ્યું છે. જેથી સરકાર દ્વારા વાહનો પર પ્રતિબંધ, બાંધકામ નિયંત્રણ અને એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ જેવા પગલાં લેવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. ડૉક્ટરોની સલાહ છે કે, લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો, બહાર ઓછું નીકળે અને બહાર જાય ત્યારે N-95 માસ્ક પહેરે.

દિલ્હી-એનસીઆરમાં વધી રહેલું વાયુ પ્રદૂષણ, જેની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગઈ છે, તે હવે લોકોના સ્વાસ્થ્યની સાથે કારોબાર પર પણ ગંભીર અસર કરી રહ્યું છે. રિટેલ બજારોમાં ગ્રાહકો ખરીદી માટે આવવાનું ટાળતા હોવાથી વેપારીઓની ચિંતા વધી છે.

આ ગંભીર પરિસ્થિતિને લઈને ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પ્રદૂષણ નિયંત્રણ માટે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોની ઇમરજન્સી મીટિંગ બોલાવવાની માંગ કરી છે.