શિફ્ટ પતી ગઇ એટલે પ્લેન મૂકી જતો રહ્યો પાઈલટ, 179 મુસાફરો આખી રાત પરેશાન થયા

December 25, 2025

વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે ઇન્ડિગો એરલાઇન્સની કોલકાતા જતી ફ્લાઇટ રદ થઈ ગઈ. ધુમ્મસના કારણે કોલકાતાથી વારાણસી આવતું વિમાન બપોરે 1:00 વાગ્યાની બદલે સાંજે 5:00 વાગ્યે પહોંચ્યું. મોડું થવાના કારણે પાઇલટ અને ચાલક દળે ડ્યુટીનો સમય (FDTL) પૂરો થવાનું કહીને વિમાન ઉડાડવાનો ઇનકાર કરી દીધો. જેના કારણે 179 મુસાફરોને બોર્ડિંગ પાસ મળ્યા છતા આખી રાત હોટેલમાં રોકાવું પડ્યું. એરલાઇને બીજા દિવસે બુધવારે વૈકલ્પિક વ્યવસ્થા કરી મુસાફરોને કોલકાતા રવાના કર્યા.  વારાણસીથી કોલકાતા જતા 179 મુસાફરોએ સમયસર પહોંચીને ચેકિંગની પ્રક્રિયા પૂરી કરી દીધી હતી. તમામ મુસાફરો હોલ્ડ એરિયામાં બેસીને ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક સૂચના મળી કે, ફ્લાઇટ રદ કરી દેવાઇ છે. પાઇલટે ડ્યુટીનો સમય પૂરો થઈ ગયો હોવાનું કહીને હાથ અધ્ધર કરી દીધા. આ સૂચના મળતાની સાથે જ મુસાફરોનો ગુસ્સો ફાટ્યો અને એરપોર્ટ પર જોરદાર હોબાળો થયો. ત્યારબાદ એરલાઇન દ્વારા મુસાફરોને સમજાવીને હોટેલ મોકલવામાં આવ્યા.  હકીકતમાં, મંગળવારે ગાઢ ધુમ્મસના કારણે વિમાનનું સંચાલન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. કોલકાતાથી જે વિમાન વારાણસી આવવાનું હતું, તે પહેલાં જ 4 કલાક મોડું હતું, સાંજે 5:00 વાગ્યે જ્યારે વિમાન લેન્ડ થયું, ત્યાં સુધી ક્રૂ મેમ્બરની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી. સુરક્ષાના નિયમો હેઠળ થાકેલા પાઇલટથી વિમાન ઉડાડી ન શકાય, જેના કારણે એરલાઇનને આ નિર્ણય લેવો પડ્યો.  એરપોર્ટ ડિરેક્ટર પુનીત ગુપ્તાએ સ્પષ્ટ કર્યું કે, પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ માટે ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમ લાગુ પડે છે. તે સમયે વૈકલ્પિક પાઇલટ અને ક્રૂ મેમ્બર હાજર નહતા, જેના કારણે વિમાનને કો ગ્રાઉન્ડેડ કરવું પડ્યું. મુસાફરોના હોબાળા બાદ બુધવારે બીજી વ્યવસ્થા કરવામાં આવી અને તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા.