મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ

June 25, 2026

મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં મંગળવારથી શરૂ થયેલો ભારે વરસાદ સતત ચોવીસ કલાક જારી રહેતા સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે. અનેક વિસ્તારોમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનોની ગતિ થમી ગઈ છે અને લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. કોલાબામાં 248 મીમી વરસાદ પડ્યો છે, જે જૂન મહિનાના સરેરાશ વરસાદના 45% જેટલો છે. આ ઉપરાંત સાન્તાક્રુઝમાં 225 મીમી, માલવણીમાં 340 મીમી અને પરેલમાં 334 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ વચ્ચે મુંબઈના મેયર રીતુ તાવડે BMC કર્મચારીઓ અને મીડિયા સાથે દાદરના ગાંધી માર્કેટ વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. મેયર જ્યારે મીડિયા સમક્ષ 'બધું નિયંત્રણમાં છે' તેમ કહી રહ્યા હતા, ત્યારે જ તેમની પાછળ એક વ્યક્તિ ખુલ્લા નાળા/ખાડામાં ખાબક્યો હતો. સદનસીબે તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ ઘટનાથી ગુસ્સે થયેલા મેયરે અધિકારીઓને ખખડાવ્યા હતા અને ચેતવણી આપી હતી કે જો ક્યાંય પણ મેનહોલ ખુલ્લું મળશે તો વોર્ડ ઓફિસરને સસ્પેન્ડ કરાશે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ અને શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ બીએમસીના ભ્રષ્ટાચાર અને કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. શિવસેના નેતા મનીષા કાયંદેએ આ સમયે રાજનીતિથી દૂર રહી લોકોને રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી હતી. ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી જતાં સેન્ટ્રલ રેલવે અને ટ્રાન્સ-હર્બર લાઇન પર ટ્રેનોની અવરજવરને માઠી અસર થઈ હતી. તુર્ભે અને કોપરખૈરને વચ્ચે ટ્રેકની નીચેથી જમીન ધસી પડવાના કારણે અપ-ડાઉન લાઇન થોડા કલાકો માટે બંધ કરવી પડી હતી, જે બાદમાં ધીમી ગતિએ શરૂ કરાઈ હતી. સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ઓફિસ જનારા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. આ ઉપરાંત, 'બેસ્ટ' બસોના 24 થી વધુ રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે બીએમસીએ સમગ્ર શહેરમાં 7,000 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને તૈનાત કર્યા છે. વિવિધ સ્થળોએથી પાણી નિકાલ કરવા માટે ડીવોટરિંગ પંપ અને સ્ટોર્મવોટર પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરાયા છે. હિંદમાતા અને અંધેરી સબવે જેવા નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. બીએમસી કમિશનર અશ્વિની ભિડેએ તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા અને નાગરિકોને હવામાન વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી 24 કલાકમાં ભારે વરસાદ અને તેજ પવનની ચેતવણી આપી છે. આ સાથે જ દરિયામાં બુધવારે સવારે 3.41 મીટર અને સાંજે 3.35 મીટર ઊંચી લહેરો ઉઠવાનું હાઈ ટાઈડ એલર્ટ અપાયું છે. વરસાદ અને હાઈ ટાઈડ એકસાથે હોવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખતરો વધ્યો છે. મુંબઈ ઉપરાંત નાલાસોપારા અને વસઈ-વિરારમાં પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. શહેરમાં અલગ-અલગ જગ્યાએ 9 વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. લોકલ ટ્રેન અને બસ સેવા પ્રભાવિત થયા બાદ હવે પ્રશાસન મેટ્રો સેવાઓ પર નજર રાખી રહ્યું છે. મેટ્રો સત્તાધીશોએ જણાવ્યું છે કે જો મુસાફરોની ભીડ વધશે અથવા સ્થિતિ વધુ વણસશે, તો શોર્ટ નોટિસ પર વધારાની મેટ્રો ટ્રેનો દોડાવવામાં આવશે જેથી ઓફિસ જતા લોકોને રાહત મળી શકે.