આઝમ ખાન પર ખોટા કેસ કરીને ફસાવ્યા, સપા હંમેશા તેમની સાથે...', મુલાકાત બાદ બોલ્યા અખિલેશ

October 08, 2025

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન સાથે મુલાકાત કરી. લાંબા સમય બાદ થયેલી આ મુલાકાતને સમાજવાદી પાર્ટી કેમ્પમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, 'હું જેલમાં આઝમ સાહેબને મળવા નહોતો જઈ શક્યો, પરંતુ હવે આવ્યો છું. આઝમ ખાન અમારી પાર્ટીની 'ધડકન' છે. જૂના લોકોની વાત જ અલગ હોય છે.'

અખિલેશ યાદવે આગળ કહ્યું કે, 'આઝમ ખાન અને તેમના પરિવારને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટી હંમેશા તેમની સાથે ઉભી છે.'

આ મુલાકાત બાદ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીર શેર કરીને લખ્યું કે, 'ક્યા કહે ભલા ઉસ મુલાકાત કી દાસ્તાન જહાં બસ જઝ્બાતોને ખામોશી સે બાત કી.'

મુલાકાત બાદ અખિલેશ યાદવે કહ્યું કે, 'હું પહેલા નહોતો પહોંચી શક્યો, તેથી હું આજે તેમને મળવા અને તેમના હાલચાલ પૂછવા માટે તેમના ઘરે આવ્યો છું. આઝમ ખાન ખૂબ જ જૂના નેતા છે, અને જૂના નેતાઓની વાત જ કંઈક ખાસ છે. તેઓ આપણા પક્ષનું એક વૃક્ષ છે, જેમના મૂળ જેટલા ઊંડા છે, એટલો જ મોટો છાંયો અમારી સાથે છે.

અખિલેશે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, 'ભાજપ પાર્ટી કદાચ આઝમ ખાન વિરુદ્ધ સૌથી વધુ કેસ દાખલ કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માગે છે. આઝમ સાહેબ, તેમની પત્ની અને પુત્ર અબ્દુલ્લા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે.'

આ મુલાકાતને પાર્ટીમાં જૂના નેતાઓની નારાજગીને દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરના દિવસોમાં આઝમ ખાનનું મૌન અને સપા નેતૃત્વથી તેમના અંતરને રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યું હતું. અખિલેશની આ મુલાકાતને તે અંતરને દૂર કરવાની પહેલ તરીકે જોવામાં આવી રહી છે.