દિલ્હી બ્લાસ્ટ મામલે સરકારનો મોટો નિર્ણય, NIAને સોંપી તપાસ

November 11, 2025

દિલ્હીમાં આતંકી ષડયંત્રની ગંભીર આશંકા વચ્ચે એક ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. 10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરૂઆતમાં 8 લોકોના મોત થયા હતા, જેનો મૃત્યુઆંક આજે વધીને 12 પર પહોંચી ગયો છે. હવે આ ગંભીર કેસની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે, જે આ મામલે આતંકી કાવતરાના એંગલથી તપાસ શરૂ કરશે.

દિલ્હી પોલીસના અહેવાલ અનુસાર, દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મૃતકાંક વધીને 12 થઇ ગયો છે. જોકે હજુ સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી. કેમ કે બ્લાસ્ટને કારણે લોકોના શરીરના ચીથરાં ઉડી ગયા છે. જેના કારણે તેમની ઓળખ કરવા માટે લાંબી પ્રક્રિયા હાથ ધરવી પડે એમ છે. 

માહિતી અનુસાર દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ મામલે જમ્મુ-કાશ્મીરમાં ડૉ. ઉમરના મિત્ર ડૉક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ કરી લેવામાં આવી છે.  તેની ધરપકડ પુલવામાથી કરવામાં આવી હતી. મોહમ્મદ ઉમર હજુ સુધી પોલીસને હાથ લાગ્યો નથી. એવું કહેવાય છે કે દિલ્હી બ્લાસ્ટમાં જે કાર વપરાઈ હતી તેમાં તે હાજર હતો અને તે મૃત્યુ પામી ગયો હોઈ શકે છે. જોકે આ હજુ તપાસનો વિષય છે.