કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય, VIP દર્શન અને સ્પર્શ દર્શન બંધ

December 26, 2025

ધાર્મિક સ્થળો અને પર્યટક સ્થળો પર ભીડ વધી રહી છે. ભીડને પહોંચી વળવા માટે કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. ક્રિસમસનું વેકેશન અને વળી જે લોકોએ નોકરીમાં આખુ વર્ષ રજા ન લીધી હોય તેઓ ડિસેમ્બરમાં તો રજા લેવાના જ. એટલે હાલમાં કોઇ ફરવાલાયક સ્થળ હોય કે પછી ધાર્મિક સ્થળ. લોકોનો ધસારો વધી ગયો છે.

દેશના ખૂણે ખૂણેથી ભક્તો બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભીડને નિયંત્રિત કરવા માટે ભક્તોને ઝિગ-ઝેગ લાઇન સિસ્ટમ દ્વારા મંદિર પરિસરમાં દિશામાન કરવામાં આવશે. દરરોજ બે લાખથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. વર્ષના છેલ્લા દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ ભક્તોની સંખ્યા છ લાખ સુધી પહોંચવાની ધારણા છે.જેને લઇને મંદિર પ્રશાસન દ્વારા સ્પર્શ દર્શન અને વીઆઇપી દર્શન હાલ પૂરતો બંધ કરવાનો નિર્ણય લીધો છે.