ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ

June 06, 2026

દિલ્હી- ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ રાજ્યસભા ચૂંટણી માટે લાતેહારના પૂર્વ ધારાસભ્ય બૈદ્યનાથ રામને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ નિર્ણય સાથે જ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ચાલી રહેલો વિવાદ હાલ પૂરતો શાંત થતો દેખાઈ રહ્યો છે. હવે રાજ્યસભાની 2 બેઠકો પર કોંગ્રેસ અને JMMના એક-એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં સામસામે હશે. ગઠબંધન ધર્મને નિભાવતા JMMએ કોંગ્રેસ સાથે વધતી કડવાશ વચ્ચે એક ડગલું પાછળ ખેંચ્યું છે. JMMના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, બૈદ્યનાથ રામ પાર્ટીના મજબૂત અને સમર્પિત કાર્યકર્તા છે. આદિવાસી અને પછાત વર્ગના પ્રતિનિધિત્વને મજબૂત કરવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.
ઝારખંડની જે 2 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી થવાની છે, તેના માટે કોંગ્રેસે પહેલાથી જ પ્રણવ ઝાને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવી દીધા હતા. આનાથી JMM નારાજ થયું હતું, કારણ કે JMMનો આરોપ હતો કે, કોંગ્રેસે તેમને વિશ્વાસમાં લીધા વિના જ નામની જાહેરાત કરી દીધી હતી. નારાજ JMMએ ત્યારે એવું વલણ અપનાવ્યું હતું કે, તેઓ બંને બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. જો JMM બંને બેઠકો પર ચૂંટણી લડે, તો કોંગ્રેસના ઉમેદવાર માટે રાજ્યસભા પહોંચવું મુશ્કેલ બની જાત અને ગઠબંધનમા તકરાર વધી શકતી હતી.
સુપ્રિયો ભટ્ટાચાર્યએ માહિતી આપી છે કે, આ બેઠક માટે નામાંકન 8 જૂને થશે, અને આ દરમિયાન ખુદ સીએમ હેમંત સોરેન પણ હાજર રહેશે. તેમણે મહાગઠબંધનના અન્ય પક્ષો કોંગ્રેસ અને આરજેડી (RJD) પાસેથી પણ સમર્થનની આશા વ્યક્ત કરી છે. તેમણે સ્વીકાર્યું કે બેઠકોની વહેંચણીને લઈને કેટલાક મતભેદો હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવાયો છે, જે બધાને અનુકૂળ હોય. વર્તમાન અંકગણિત મુજબ કોઈ પણ પક્ષ પાસે એકલા એટલા ધારાસભ્યો નથી કે, તે રાજ્યસભા માટે 2 ઉમેદવારોને એકસાથે મેદાનમાં ઉતારી શકે.